અમદાવાદ,તા.૮
હું જયારે મારા અભ્યાસ માટે દિલ્હીથી મેરઠ જતો હતો ત્યારે રસ્તામાં મુઝફ્ફરનગર આવતું હતું અને મુઝફ્ફરનગરના કોમી તોફાનોની ઘટનાએ મને પણ હચમચાવી નાંખ્યો હતો અને તેથી મેં આ રીઆલીસ્ટીક ફિલ્મ કરવાનું નક્કી કર્યું. હું તો સ્પષ્ટપણે માનું છું કે, આપણે સૌથી પહેલા એક માણસ છીએ અને પછી ધર્મની વાત આવે. માનવીય ધર્મ જ જીવનમાં સૌથી પહેલો હોવો જોઇએ. મુઝફ્ફરનગરના કોમી તોફાનો જેવી ઘટના દેશમાં ફરી કયાંય ના બને બસ એટલો જ સંદેશો અમે અમારી મુઝફ્ફરનગર-૨૦૧૩ ફિલ્મ પરથી સમાજને આપવા માંગીએ છીએ એમ અત્રે મુઝફ્ફરનગર ફિલ્મના મેઇન હીરો દેવ શર્માએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના ડાયરેકટર હરીશ કુમારે જણાવ્યું હતું કે, મુઝફ્ફરનગરમાં ૨૦૧૩માં થયેલા હિંદુ-મુસ્લિમ વચ્ચેના કોમી તોફાનોના વિષય પર આધારિત આ ફિલ્મ રજૂ કરવામાં આવી છે, જો કે આ ઘટના અંગે જો રિસર્ચ કર્યું હતું તેમાં મને જાણવા મળ્યું કે મુઝફ્ફરનગરના કોમી રમખાણો પાછલ કેટલાક ગંદા રાજકીય નેતાઓનો હાથ હતો. અત્યારે તો ત્યાં લોકો હળીમળીને રહે છે. ફિલ્મ કોમી તોફાનોના સંવેદનશીલ વિષય પર આધારિત હોઇ અમને શૂંટીગની પરમીશનથી લઇ ઘણી બાબતોમાં તકલીફોનો સામનો કરવો પડયો પરંતુ સમાજને એક શાંતિ અને ભાઇચારાનો સંદેશો આપવાના મક્કમ નિર્ધાર સાથે અમે આ ફિલ્મ બનાવવા તરફ આગળ વધ્યા. દેશમાં મુઝફ્ફરનગર જેવી ઘટના ફરી કયારેય ના બને બસ અમે એટલો જ સંદેશો આ ફિલ્મ મારફતે લોકોને આપવા માંગીએ છીએ. આ ફિલ્મ તા.૧૭ નવેમ્બરે રિલીઝ થશે.