ભરૂચ,પાલિતાણા, અમદાવાદ,તા.૧૯
સુપ્રીમકોર્ટે ભલે ફિલ્મ પદ્માવતને રિલીઝ કરવા મામલે લીલીઝંડી આપી હોય પણ કેટલાક રાજયોની સાથે ગુજરાતમાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ગઈકાલે બાવળા-બગોદરા હાઈવેને ચક્કાજામ કર્યા બાદ આજે રાજપુત સમાજના યુવાનો અને કરણી સેના દ્વારા રાજકોટ, મોરબી, ભરૂચ, બોટાદ, પાલિતાણા, અમદાવાદ સહિતના અનેક સ્થળોએ ટાયરો સળગાવી ચક્કજામ કરી દીધું હતું જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. જયારે ગૃહ રાજયમંત્રીએ સૌને શાંતિ જાળવવા અને કાયદા વ્યવસ્થાનું પાલન કવા અપીલ કરી છે. પદ્માવત ફિલ્મનો ગુજરાતમાં આ ફિલ્મના રિલીઝનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છ.ે રાજકોટ મોરબીમાં પદ્માવત ફિલ્મ રિલીઝનો વિરોધ થયો હતો. ફિલ્મ પદ્માવતને રિલીઝ થવા પર કોઈપણ રાજયમાં રોક નહીં લાગવાના સુપ્રીમના આદેશ બાદ હજુ પણ પદ્માવત ફિલ્મનો વિરોધ યથાવત મળી રહ્યો છે. રાજકોટના કે.કે.વી. હોલથી કિશાનપરા ચોક સુધી બાઈક રેલી યોજી બાદમાં રેસકોર્સ રિંગ રોડ પર મોબાઈલ લાઈટ મારફત ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બોટાદમાં ફિલ્મના વિરોધમાં ટાયરો સળગાવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લામાં આવેલા રાણપુરમાં પણ ક્ષત્રિય સમાજના લોકોએ પદ્માવત રિલીઝનો વિરોધ કર્યો હતો અને રસ્તા પર આવીને ટોળાએ ટાયરો સળગાવ્યા હતા. પોલીસે આ ઘટનામાં પ૦ જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. પદ્માવતને લઈ ભરૂચના ઝાડેશ્વર ખાતે રાજપુત કરણી સેનાએ નેશનલ હાઈવે ૮ ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો.
રાજપૂત કરણી સેનાના કાર્યકરોના વિરોધના પગલે ઝાડેશ્વર ચોકડી ખાતેના હાઈવે ઉપર એક સમયે વાહનોની લાંબી કતારો લાગી હતી સાથે કરણી સેનાએ પદ્માવત ફિલ્મને ભરૂચના થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે તો થિયેટરો સળગાવાની ખુલ્લી ચીમકી પણ કરણી સેના તરફથી ઉચ્ચારી હતી સાથે સાથે ફિલ્મને ન જોવા જવા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. કરણી સેનાના ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઈ એક સમયે હાઈવે ઉપર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જયારે પાલિતાણામાં પણ કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા ફિલ્મ પદ્માવતનો વિરોધ કરી ટાયરો સળગાવી ચક્કાજામ કરી દેવાયો હતો. જો કે પોલીસે દોડી જઈ કેટલાક લોકોની અટકાયત કરી હતી. ત્યારે કરણી સેના અને મહાકાલ સેના સહિતના સંગઠનો અને રાજપુત સમાજે ફિલ્મની રિલીઝને રોકવા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.