અમદાવાદ, તા.૩૦
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ગઈકાલે રાજભવન ખાતે યોજાયેલ સમારોહમાં જુદા-જુદા ક્ષેત્રોમાં સમાજ હિતના વિશિષ્ઠ કાર્યો કરનાર સમાજસેવી વ્યક્તિઓને “ગ્લોરી ઓફ ગુજરાત” પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર, ગુજરાત દ્વારા આયોજિત “ગ્લોરી ઓફ ગુજરાત-એવોર્ડ” સમારોહમાં સંબોધન કરતા રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, સમાજના નિઃસહાય-જરૂરતમંદ લોકોને સહાયરૂપ બની તેમના જીવનને ઉન્નત બનાવવાના કાર્યોમાં સમર્પિત થઈ યોગદાન આપવું, તે સાચા અર્થમાં સેવા ધર્મ છે. તેમણે કહ્યું હતું કે, ધર્મ વાસ્તવમાં સામાજિક શ્રેયના કાર્યોથી જોડાયેલ છે તેથી જ પરપીડાને પોતાની પીડા સમજનાર સાચા અર્થમાં સમાજ હિતૈષી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની શ્રેષ્ઠી-દાનવીરોની અનન્ય પરંપરા રહી છે. દુઃખી પીડિતોની સહાયતા કરવી એ રાજ્યના લોકોની માનવતાવાદી પ્રકૃતિ રહી છે. રાજ્યપાલે માનવ સેવાલક્ષી કાર્યોમાં શ્રેષ્ઠ યોગદાન કરનાર કર્મશીલોનું પુરસ્કારોથી સન્માન કરી તેમને શુભકામનાઓ આપી હતી. સ્વામી કૃષ્ણમણી મહારાજે પોતાના આશીર્વચનમાં માનવતાના કાર્યો માટે સદા તત્પર રહેનારા સેવકોનું સન્માન કરવા માટે સંસ્થાને અભિનંદન આપ્યા હતા અને સન્માન પ્રાપ્ત કરનાર સૌને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાત વિશ્વ વિદ્યાલયના ભૂતપૂર્વ પ્રો. વાઈસ ચાન્સેલર ડો.ચંદ્રકાંત મહેતાએ પણ તેમના પ્રાસંગિક પ્રવચનમાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર માનવીય સેવાઓને બિરદાવી હતી અને સૌને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે પ્રબંધન વિશેષજ્ઞ ડો.શૈલેષ ઠાકર લિખિત પુસ્તક “મ્ી ેંહજર્ંટ્ઠહ્વઙ્મી” નું રાજ્યપાલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.