Ahmedabad

રાજ્યમાં સુરત બાદ વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં કોરોનાના વધતા કેસ ! કોરોના વાયરસે નવા ૧૧૦૧ સાથે રાજ્યભરમાં કુલ ૬૩૬૭પને ઝપટમાં લીધા !

  • રાજ્યમાં કોરોનાને લીધે મૃત્યુના પ્રમાણમાં વધારો જારી : વધુ રર લોકો મોતને ભેટ્યા ! • કોરોના હોટસ્પોટ અમદાવાદમાં કુલ ર૬૮૧૮ કેસ તો બીજા હોટસ્પોટ સુરતમાં કુલ ૧૩પ૬પ કેસ ! • રાજ્યમાં વધુ ૮૦પ દર્દી થયા સાજા : અત્યાર સુધીમાં કુલ ૪૬પ૮૭ થયા કોરોનામુક્ત!

(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર,તા.ર

કોરોના વાયરસનું સંક્રમણ રાજય વ્યાપી જારી રહેતા અને તેમાં પણ રાજયના  પાંચથી સાતેક જિલ્લાઓમાં કોરોનાના કેસો વધુ પ્રમાણમાં નોંધાવવાનું ચાલુ રહેતા રાજયભરમાં રોજેરોજના  કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉછાળા મારતા કેસોનો આંક વધતો વધતો હવે ૧૧૦૦ને પાર થઈ જવા પામેલ છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ નવા ૧૧૦૧ કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે.  જેમાં આજે પણ સૌથી વધુ ર૩૭ કેસો સાથે સુરત જ નં.૧ પર રહેલ છે. જો કે સુરતમાં અગાઉ કરતા કેસોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સામે વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના  જિલ્લામાં કેસો વધુ પ્રમાણમાં નોંધાયા છે. જયારે કોરોનામાં મૃત્યુના પ્રમાણમાં વધારો જારી રહેતા આજે વધુ રર વ્યકિતઓ કોરોનામાં મોતને ભેટી છે. બીજી તરફ રાજયમાં કોરોનાના વધતા કેસો સામે કોરોનામાંથી સાજા થવાનું પ્રમાણ વધુ જોવા મળતા રાહતરૂપ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયભરમાં વધુ ૮૦પ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહેલ છે. જેને પગલે રાજયનો રિકવરી રેટ વધીને ૭૩.૧૬ ટકા થવા પામ્યો છે. રાજયમાં કોરોનાના વધતા કેસ ચિંતાજનક છે ત્યારે અમુક જિલ્લાઓમાં વધતું સંક્રમણ કેસોના  આંકમાં ઉછાળા માટે કારણભૂત છે. રોજેરોજના ઉછાળારૂપ કેસોને લીધે રાજયના કુલ કેસોના આંકનું મીટર ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયભરમાં કોરોનાના વધુ નવા ૧૧૦૧ કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં ર૦૯ અને ગ્રામ્યમાં ર૮ મળી કુલ ર૩૭ કેસ નોંધાયા છે. તે પછી અમદાવાદ શહેરમાં ૧૪૩ અને ગ્રામ્ય ૧ર મળી કુલ ૧પપ કેસ નોંધાયા છે. જયારે  વડોદરા અને રાજકોટમાં ઉછાળારૂપે વધુ કેસો બહાર આવ્યા છે. જેમાં વડોદરા જિલ્લા-૯૬  અને રાજકોટ જિલ્લામાં ૯૪  કેસ નોંધાયા છે.   તે જ રીતે ભાવનગર જિલ્લામાં પણ ૭ર કેસ અને  જામનગરમાં-પર, મહેસાણામાં-૪૩, જૂનાગઢમાં ૪૦ કેસ નોંધાયા છે. તે ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં ર૯ કેસ, પંચમહાલમાં-ર૭, વલસાડમાં-ર૦, નવસારીમાં-૧૯, અમરેલી-ખેડા-દાહોદમાં ૧૭-૧૭ કેસ તેમજ અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૬ કેસ નોંધાયેલ છે.  આ સાથે રાજયભરમાં કોરોનાના કુલ કેસોનો આંક ૬૩ હજારને પાર થઈ જતા કુલ ૬૩૬૭પ કેસ થયા છે તો કોરોના હબ એવા અમદાવાદમાં કુલ કેસોનો આંક ર૬૮૧૮એ પહોંચ્યો છે. જયારે બીજા  હોટસ્પોટ સુરતમાં કેસોનો આંક ઝડપથી ૧૩પ૬૮એ પહોંચી ગયો છે. રાજયમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ  ફરી વધી જવા પામેલ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં વધુ રર વ્યકિતઓના મૃત્યુ નીપજેલ છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૧ર વ્યકિતઓના મોત થયા છે. તો અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં ર-ર વ્યકિતના મૃત્યુ નીપજયા છે. જયારે ગાંધીનગર, દ્વારકા, પાટણ અને રાજકોટ જિલ્લામાં ૧-૧ વ્યકિતના મૃત્યુ નીપજેલ છે.  આ સાથે રાજયભરમાં  અત્યાર સુધીમાં કોરોનામાં કુલ ર૪૮૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે અમદાવાદમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૬૦૪ થવા પામેલ ેછ. સુરત  જિલ્લામાં કોરોનામાં કુલ ૪૪૧ના મૃત્યુ થયેલ છે. રાજયભરમાં કોરોનામાંથી સાજા થવાનો મામલો વધતા રાહત થઈ રહી છે. છેલ્લા દસેક દિવસથી રાજયના રીકવરી રેટમાં એવો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં વધુ ૮૦પ દર્દીઓ કોરોનાની સારવાર દરમ્યાન સાજા થવામાં સફળ રહેલ છે. જેને લીધે રાજયભરમાં અત્યાર સુધીમાં ૪૬પ૮૭ લોકો કોરોનામુકત બનવામાં સફળ રહ્યા છે. રાજયમાં છેલ્લા દસેક દિવસથી કોરોના ટેસ્ટ વધારવામાં આવ્યા છે. આજે કુલ ર૩,રપપ કોરોના ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮.૧૪ લાખ ટેસ્ટ કરાયા છે. રાજયમાં કોરોના પોઝિટિવના હમણા કુલ ૧૪૬૦૧ એકિટવ કેસ છે તે પૈકી ૮૧ દર્દીને વેન્ટીલેટર પર રખાયા છે. જયારે અન્ય ૧૪પર૦ની સ્થિતિ તંત્ર દ્વારા  સ્થિર બતાવવામાં આવી રહી છે.