અમદાવાદ,તા.૪
ગુજરાતમાં દલિતો પર કેવા અત્યાચાર થાય છે તેનું પ્રમાણ ઉના દલિત અત્યાચાર જેવી કલંકિત ઘટનાથી મળી ગયું હતું જો કે ઉના અત્યાચાર કાંડ પછી પણ દલિતોને પરેશાન કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે ગાંધીનગરના લીંબોદરા ગામે દલિત યુવાનને મૂછો રાખવા તેમજ ગરબા જોવા જેવી બાબતે માર મારવાની ઘટનાને વખોડી કાઢી આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યા છે તેમ જણાવી તેમના રાજીનામાની માંગ કરી છે. ઉના દલિત અત્યાચાર જેવી કલંકિત ઘટના બાદ આજદિન સુધી ગુજરાતમાં દલિતો પર અત્યાચાર રોકાવાનું નામ નથી લઈ રહ્યા. દિવસેને દિવસે દલિતો પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. ગરબા જોવા કે મૂછો રાખવા જેવી વાતો માટે દલિતો પર જીવલેણ હુમલા થાય છે. ત્યારે ગુજરાત સરકાર દરેક અત્યાચારોને મુકદર્શક બની જોતી રહે છે. ગાંધીનગરના લીંબોદરા ગામમાં બે યુવાનોને મૂછો રાખવા માટે મારવામાં આવ્યા તેના ગુનેગારોને પકડવાનું તો દૂર રહ્યું તેના બદલે કેસના સાક્ષી એવા ૧૭ વર્ષના યુવાન દિગંત મહેરિયા પર ગઈ કાલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા દિગંતની ખબર પૂછવા આપના નેતાઓ પહોંચ્યા હતા. અહીં આપ નેતાઓએ ગૃહમંત્રીનું રાજીનામું આપવા માંગ કરી હતી. ઈજાગ્રસ્તની મુલાકાત લેનાર આપ નેતાઓએ જણાવ્યું હતું કે દલિતો પર છાસવારે હુમલાની ઘટનાઓ ભાજપ સરકારની દલિતો પ્રત્યેની અસંવેદનશીલતા તથા પ્રસાશનિક નિષ્ફળતાઓ છતી કરતી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે. આમ આદમી પાર્ટી નિષ્ફળ ગૃહમંત્રી પ્રદીપસિંહના રાજીનામાની માંગ કરે છે. દલિત અત્યાચાર સામે લડત લડી રહેલા જીગ્નેશ મેવાણી જેવા યુવાન આંદોલનકારીની વારંવાર અટકાયત થઈ રહી છે તે અત્યંત શરમજનક છે.