(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા.૧૯
વલસાડ રેલવે સ્ટેશન પર તેમજ રેલવે સ્ટેશન બહાર આરપીએફ કર્મીઓની લુખ્ખી દાદાગીરી અટકવાનું નામ લેતી નથી. નિર્દોષોને માર મારવાની આરપીએફની આદત છૂટતી ન હોવાનું જોવા મળી રહ્યું છે. હોટેલના કામદારને મારમાર્યા બાદ આરપીએફના અન્ય એક જવાને નિર્દોષ રિક્ષાચાલકને મારમાર્યો હતો. જેના પગલે રિક્ષાચાલક એસોસિએશને આરપીએફ ઓફિસમાં હલ્લો મચાવ્યો હતો. વલસાડ સ્ટેશન રિક્ષાસ્ટેન્ડના રિક્ષાચાલક દિલીપ માલીને આરપીએફનો કડવો અનુભવ થયો છે. દિલીપ માલીએ બુધવારે રાત્રે એક આરપીએફ કર્મચારીને ઉડીપી હોટેલ બહારથી રિક્ષામાં બેસાડ્યો હતો અને તેને આરપીએફ ટ્રેનિંગ સેન્ટર પર ઉતાર્યો હતો. આટલા લાંબા અંતરના રૂા.૨૦ ભાડું સ્વાભાવિક હોય રિક્ષાચાલકે તેની પાસેથી રૂા.૨૦ ભાડુ માંગતા આરપીએફ રિક્ષાચાલકે ખીજવાઇને રૂા.૧૦ જ થાય એવું જણાવ્યું હતું. જેનાથી ગભરાયેલા દિલીપે રૂા.૧૦ નહી આપશો તો પણ ચાલશે એવું જણાવતાં આરપીએફ જવાને તેને માર માર્યો હતો. ઢીક મુક્કીના મુંઢમારથી દિલીપ માલી એટલા ઘવાયા હતા કે, તેમના માટે રિક્ષા ચલાવી પરત ફરવું પણ મુશ્કેલ બન્યું હતું. તેમણે આ સંદર્ભે તેમના સાથી રિક્ષાચાલકોને જણાવ્યું હતું. જેને લઇ સ્ટેશન બહાર રિક્ષા ઊભી રાખનારા રિક્ષાચાલકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. તેમણે આ સંદર્ભે ગુરૂવારે સવારે જ આરપીએફ કચેરીએ જઇ આ મુદ્દે રજૂઆત કરી હતી. જો કે, આ મુદ્દે આરપીએફના ઉચ્ચ અધિકારીઓએ મારમારનારા જવાનને બોલાવી તેને ઠપકો આપવાના બદલે વાતોમાં ભોળવી રિક્ષાચાલકોને પરત મોકલી આપ્યા હતા.