(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
વરેલી ખાતે રહેતાં અને કરિયાણાની દુકાન ચલાવતા દુકાનદારની પાસેથી ગતરોજ મામલતદાર તથા પોલીસવાળાના સ્વાંગમાં મોટર સાઈકલ ઉપર સવાર થઈને આવેલા સાતથી આઠ શખ્સોએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપી બળજબરી પૂર્વક ૭૦ હજાર પડાવી નાસી ગયા હતા.
મૂળ રાજસ્થાનના વતની અને વરેલી ખાતે આવેલ પાયલ પાર્ક સોસાયટીમાં રહેતાં સત્યનારાયણ બદ્રીપાલ શર્મા ઉ.વ.૪૪ કરિયાણાનો ધંધો કરે છે. ગતરોજ સવારે ૨૦ થી ૩૫ વર્ષની ઉંમરના સાતથી આઠ ઈસમો મોટર સાઈકલો ઉપર સવાર થઈને આવેલા હતા અને મામલતદાર તથા પોલીસવાળા હોવાની ઓળખ આપી અમો ગાંધીનગરથી આવેલા છે અને અમારી પાસે બાતમી મળેલ છે કે તું ગેરકાયદેસર સરકારી અનાજનો જત્થો લાવેલ છે. ત્યારે પતાવટ કરતી હોય તો વીસ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો કેસમાં ફીટ કરી દઈશું તેમ કહી ધાક ધમકી આપી હતી. છેલ્લે એક લાખમાં પતાવટ થતા દુકાનદારની પાસેથી આઠ ઈસમો બળજબરી પૂર્વક ૭૦ હજારની રકમ પડાવી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.