Ahmedabad

શાળાઓ ખૂલશે અને એક પણ બાળક જો કોરોના સંક્રમિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે : ગુજરાત વાલી મંડળ

પ્રતિકાત્મક તસ્વીર

(સરફરાઝ મન્સુરી)
અમદાવાદ, તા.૪
લોકડાઉન બાદ અનલોક એકની જાહેરાત સાથે રાજ્યમાં જુલાઈ માસથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ હોવાનું જણાય છે. આ મામલે વાલીઓના વિચાર જાણવા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૯પ ટકા વાલીઓએ બાળકોના અભ્યાસ સાથે તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વાતને ટેકો આપતા હોય તેમ ગુજરાત વાલી મંડળે પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોનાના શૂન્ય કેસ થાય નહીં, ત્યાં સુધી શાળાઓ શરૂ કરવી જોઈએ નહીં. ગુજરાત શિક્ષણ વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે “ગુજરાત ટુડે” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રોગની સૌથી મોટી સમસ્યા એ છે કે, જો કોઈ બાળકને ચેપ લાગે તો બાળકને એકલાને જ દાખલ કરવામાં આવે છે, જે વાલીઓ માટે મોટી ચિંતાનો વિષય છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, જો શાળાએ જતા એક પણ બાળકને ચેપ લાગ્યો તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. એલિમેન્ટરી એક્ટ મુજબ ૬થી ૧૪ વર્ષના બાળકો કુમળી વયમાં આવે છે. જેથી જ્યાં સુધી મહામારીની સ્થિતિ સંપૂર્ણ ન સૂધરે ત્યાં સુધી શાળાઓ ખોલવી જોઈએ નહીં. નરેશ શાહે જણાવ્યું હતું કે, સ્કૂલ વાને કે રિક્ષામાં રિસેસના સમય દરમિયાન કે ટોયલેટમાં બધા સ્થળે બાળકોને ચેપ લાગવાનું જોખમ રહેલું છે. ર૦ટર૦ના વર્ગમાં ૩૦ વિદ્યાર્થીઓને બેસાડે તો પણ સંક્રમિત થવાનું જોખમ વધી જશે અને શાળાઓ પર આર્થિક બોઝ વધશે. વળી સેનિટાઈઝરથી બાળકોના ફેફસાને અસર થવાની શક્યતા પણ રહેલી છે. અમારી ચિંતા અંગે રાજ્ય સરકારને ત્રણ પત્રો લખ્યા છતાં કોઈ જવાબ મળ્યો નથી. અમદાવાદની લિટલ ફ્લાવર સ્કૂલના ટ્રસ્ટી જનક શાહે “ગુજરાત ટુડે” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને ગુજરાત વાલીમંડળના પ્રશ્નો અને બાળકોની સલામતીની ચિંતા છે. વાલીમંડળના સૂચનોને ધ્યાનમાં રાખી સરકારના દિશા-નિર્દેશો મુજબ શાળા શરૂ કરી શકાય છે. જો ક્લાસમાં રપ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે અને તેમની વચ્ચે છ ફૂટનું અંતર રાખવામાં આવે તો તે હિતાવહ છે, તેમજ રિસેસમાં પણ પ્રથમ દસ વિદ્યાર્થીઓ અને ત્યારબાદ બીજા દસ વિદ્યાર્થીઓને મોકલી શકાય. શાળામાં મેડિકલ ઓફિસરની તહેનાતી જરૂરી છે અને બાળકોનું નિયમિત મેડિકલ ચેપ પણ થવું જોઈએ. પ્રોગ્રેસ માટે થોડી હિંમત કરવી પડશે. શહેરની રિપબ્લિક હાઈસ્કૂલના આચાર્ય રફીકભાઈ કોઠારિયાએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના કારણે શાળાઓ સૌથી પહેલાં બંધ થઈ હતી અને હવે બાળકોના આરોગ્યનો વિચાર કરતા સ્કૂલો સૌથી છેલ્લે ખૂલવી જોઈએ. કોરોનાના લક્ષણો જણાતા નથી તેવી સ્થિતિમાં જો એક બાળક પોઝિટિવ હશે તો અનેક બાળકો સંક્રમિત થશે. શાળાઓ ભણાવવા માટે આતુર છે, પણ કોરોનાના કારણે વિદ્યાર્થીઓની ચિંતા એક મોટો મુદ્દો છે. સરકાર પણ આ મામલે જાગૃત છે અને રાજ્ય સરકાર ફૂંકી-ફૂંકીને પગલું ભરશે. તેવો વિશ્વાસ છે. ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે કોરોનાની સ્થિતિ મુજબ નિર્ણય લેવો જોઈએ. અમદાવાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. જેથી અહીં નિર્ણય મામલે વિશેષ તકેદારી રાખવી પડશે.