(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૦
વડોદરાના વાડી સોનીપોળમાં રહેતાં વિદ્યાબહેન સુખદેવભાઈ ગોહિલ (ઉ.વ.૭૦) છેલ્લા એક સપ્તાહથી તાવ, શરદી, ખાંસીથી પીડાતા હતા. સ્થાનિક તબીબો પાસે દવા લેવા છતાં કોઈ તબિયતમાં સુધારો થતો ન હતો. જેથી તેઓ કોરોના વાયરસની શંકાને લઈ પુત્રને લઈ સવારે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક તપાસ કરીને તેઓને એક્સ-રે વિભાગમાં એક્સ-રે કઢાવવા માટે મોકલ્યા હતા.
એક્સ-રે વિભાગ દ્વારા વૃદ્ધાની તબિયતને ધ્યાનમાં લઈને તુરંત જ એક્સ-રે કાઢી આપીને રિપોર્ટ આપવાને બદલે કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. તાવથી પીડિત વૃદ્ધા વિદ્યાબહેનથી દુઃખ સહન ન થતાં તેઓ રિપોર્ટની રાહ જોઈને પોતાના પુત્રના ખોળામાં જ સૂઈ ગયા હતા. નોંધનીય છે કે, પોલીસ તંત્ર કોરોના વાયરસના લોકડાઉનમાં સિનિયર સિટીઝનોની સેવા કરી રહી છે. બીજી બાજુ સયાજી હોસ્પિટલમાં સિનીયર સિટીઝનોની અવગણના થઈ રહી છે.