(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૬
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકારે વ્યાપક જનહિત તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઇઓ અમલી કરવાનો નિર્ણય કર્યો છે.
વિજય રૂપાણીએ આણંદ જિલ્લા કલેક્ટર તરફથી રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલી દરખાસ્તની ગહન વિચારણા બાદ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવનગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી, આયરીસ હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવડ, કિશોર પ્લાઝા, અમૂલડેરી રોડ, ચરોતર બેન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, જૂના રોજ પાસે નરીમાન કોમ્પલેક્ષ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે.
આ ઉપરાંત આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ, સી.પી. કોલેજ, ૧૦૦ ફૂટના રોડ, રોયલ પ્લાઝા, ઇન્દિરા સ્ટેચ્યૂ, ગ્રિડ, પિપલ્સ મેડિકેર સોસાયટી, બેઠક મંદિર, જૈન સોસાયટી, મહાવીર પાર્ક, મહાવીર સોસાયટી સામેના વિસ્તાર, આણંદ વિદ્યાનગર રોડ, ટાઉન હોલ, પંચાલ હોલ, ગોપી સિનેમા વિસ્તાર, અવકુડા રોડ, બિગ બજાર, ૮૦ ફૂટના રોડ, ડી.ઝેડ. હાઇસ્કૂલ, ઋતુ આઇસ્ક્રીમ, એચ.એમ.પટેલ સ્ટેચ્યૂ, મોતીકાકા ચાલી પાસેનો વિસ્તાર તેમજ ઝાયડસ હોસ્પિટલ, પનઘટ હોટલ, નિશાંત આઇ હોસ્પિટલ, હિમાલયા હોસ્પિટલ તથા હિમાલયા ટાઉનશિપ પાછળના વિસ્તારમાં અશાંત ધારાની જોગવાઇઓ અમલી બનાવાઇ છે. આ જોગવાઇઓને કારણે હવેથી આ વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદિલી અંગે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.
આ અંગે આણંદ જિલ્લા જમીઅતે ઉલેમાએ હિંદના જનરલ સેક્રેટરી એમ.જી.ગુજરાતીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજકીય રીતે અને એક ચોક્કસ ધર્મના લોકો પ્રત્યેની નફરતને લઈને અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જે ઘણો દુઃખદ છે, આણંદ શહેરમાં ૨૦૦૨માં માત્ર અમુક વિસ્તારોને બાદ કરતા કોઈ અનિચ્છનીય ઘટના કે છમકલું બનેલું નથી, તેમજ છેલ્લાં ૧૭ વર્ષમાં આણંદ શહેરમાં તમામ ધર્મ અને કોમના લોકો એક બીજા સાથે ભાઈચારાથી રહી રહ્યા છે. ત્યારે અશાંતધારાના કારણે બે કોમ વચ્ચેનું અંતર વધશે. ત્યારે આણંદ શહેરમાં આ કાયદાની જરૂર નહીં હોવા છતાં માત્ર મુઠ્ઠીભર લોકોની માગણીને સરકારે તાબે થઈને અશાંતધારો લાગુ કરવાનો જે નિર્ણય કર્યો છે, તે યોગ્ય નહીં હોવાનું જણાવ્યું હતું. આણંદ શહેરમાં પોષ્ટ ઓફિસ, રેલવે સ્ટેશન સામેનો વિસ્તાર, વાણીજય વિસ્તાર છે અને આ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ પોતાના વેપાર ધંધા માટે દુકાન પણ ખરીદી શકે નહીં તેવા આશય સાથે આ વિસ્તારોને પણ અશાંતધારા હેઠળ આવરી લઈને રાજ્ય સરકારે કેટલાક ચોક્કસ કટ્ટરવાદી તત્વોની મનસાને પૂરી પાડી છે.