અમદાવાદ,તા.૫
ગુજરાત સહિત દેશભરમાં સર્કસ ઉદ્યોગની હાલત દયનીય અને અતિશય કફોડી બની છે, આશરે વીસ વર્ષો પહેલાં જયાં દેશમાં ૧૨૭થી વધુ સર્કસ ધમધમતા હતા અને તેનો સોનેરી જમાનો હતો ત્યાં આજે માંડ ૨૦ જેટલા સર્કસ જ માંડ માંડ બચી રહ્યા છે. સર્કસનો આ ઐતિહાસિક અને જાજરમાન વારસો જાળવવો ખૂબ અગત્યનો છે પરંતુ ઘણા પરિબળોને કારણે આજે સર્કસ મૃતઃપ્રાય હાલતમાં જતા રહ્યા છે. છેલ્લા પંદર વર્ષોમાં દેશભરના જુદા જુદા સર્કસોની મુલાકાત, તેના અભ્યાસ અને તેની સાથે વીતાવેલા જીવન બાદ લીધેલી આશરે ચાર હજારથી વધુ તસવીરોમાંથી કેટલીક દુર્લભ અને અલભ્ય એવી તસ્વીરો સર્કસના સુવર્ણકાળ અને તેની આગવી મહત્વતાને દર્શાવી જાય છે. સર્કસ મારી ફોટોગ્રાફી કારકિર્દીનો પહેલો પ્રેમ છે અને પહેલો પ્રેમ કયારેય ભૂલી શકાતો નથી એમ જાણીતા ફોટોગ્રાફર અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. અમદાવાદ શહેર સહિત રાજયના પ્રજાજનોને સર્કસની યાદો જીવંત થાય અને તેના ગૌરવવંતા ઇતિહાસને નજીકથી નિહાળી શકાય તે હેતુથી તા.૭મી જાન્યુઆરીથી તા.૪થી ફેબ્રુઆરી સુધી શહેરના નવજીવન ટ્રસ્ટ ખાતે સત્ય આર્ટ ગેલેરીમાં જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઇનું સરકસ અને હું વિષય પરનું અનોખુ ફોટોગ્રાફી પ્રદર્શન ખૂલ્લુ મૂકાનાર છે. સર્કસપ્રેમી અને કલાપ્રેમી જનતા માટે બહુ દુર્લભ અને આકર્ષક તસ્વીરોના આ પ્રદર્શન નિહાળવાનો ઉમદા લ્હાવો છે.