(એજન્સી) તા.૩
સીરિયાના ઘૌટા, એલેપ્પો અને અન્ય શહેરોમાં સંખ્યાબંધ નિર્દોષ લોકોને મારી નાખવામાં આવી રહ્યા છે. આ શહેરો ઘાતક શસ્ત્રો ચકાસવા માટેની પ્રયોગશાળા બની ગયા છે. વિશ્વના દેશો ફકત યુ.એન.માં ઠરાવો પાસ કરી સંતોષ માને છે. યુ.એન.ની સુરક્ષા પરિષદ પણ આ હત્યાકાંડ મુદ્દે કોઈ ચિંતા બતાવી રહી નથી. પ૭ મુસ્લિમ દેશોના વડાઓ પણ આ હત્યાકાંડ વિશે બોલવાની હિંમત કરતા નથી. પરંતુ સામાન્ય લોકોમાં હજી પણ માનવતા અસ્તિત્વ ધરાવે છે. ચેન્નાઈના એક ચર્ચમાં સીરિયાની શાંતિ માટે એક સામૂહિક પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનામાં જુદા જુદા ધર્મોના લોકો હાજર રહ્યા હતા. આ લોકોએ સીરિયામાં બોમ્બ વર્ષા બંધ કરવાની અપીલ કરી હતી. હૈદરાબાદના યાકુતપુરામાં સીરિયા પર કરવામાં આવતા હવાઈ હુમલાના વિરોધમાં એક રેલીનું આોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સીરિયા માટે પ્રાર્થનાના કાર્ડ હાથમાં રાખી બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીરિયાના ગૃહ યુદ્ધમાં ૪.પ લાખથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.
શુક્રવારે અલીગઢ મુસ્લિમ યુનિ.ના વિદ્યાર્થીઓએ પણ સીરિયામાં થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘનના વિરોધમાં દેખાવો કર્યા હતા. એક દેખાવકારે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સીરિયા વિશે એક આવેદનપત્ર આપવાના છીએ અને આ આવેદનપત્રની નકલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને સીરિયાની એલ.ચી. કચેરીએ પણ મોકલવામાં આવશે. તેણે કહ્યું હતું કે અમેરિકા અને રશિયા દ્વારા સીરિયાના લોકો અને બાળકો સાથે કરવામાં આવતા અન્યાયના વિરોધમાં અમે દેખાવો યોજ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ મુદ્દે યુ.એન. પર દબાણ કરે.
ઉલ્લેખનીય છે કે ૧૯ ફેબ્રુઆરીથી અત્યાર સુધી ઘૌટા પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં લગભગ પ૦૦ લોકોનાં મૃત્યુ થયા હતા અને ૧પ૦૦થી પણ વધારે લોકો ઘાયલ છે. આમાં મોટાભાગના બાળકો છે. યુ.એન.ના અધિકારીઓએ જણાવ્યા મુજબ હવાઈ હુમલામાં શહેરની લગભગ ર૪ હોસ્પિટલો તોડી પાડવામાં આવી હતી.