(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
સુરત એરપોર્ટ ખાતે સતત વધી રહેલી વિમાની મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે ઈન્ડિગો એરલાઈન્સ પણ આગામી દિવસોમાં સુરત એરપોર્ટથી વિમાની સેવાનો પ્રારંભ કરવા જઈ રહી છે. સુરતથી દેશના અલગ અલગ શહેરોમાં ડેઈલી અને સાપ્તાહિક વિમાની સેવા સંદર્ભે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા એરર્પોટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને રજૂઆત કરવામાં આળી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર દેશની અગ્રણી ઉડ્ડયન કંપનીઓ પૈકીની ઈન્ડિગો એરલાઈન્સ હવે સુરત એરપોર્ટ પરથી દેશના અલગ અલગ શહેરોમાં હવાઈ મુસાફરીનો પ્રારંભ કરવા જઈ રહી છે. કંપનીના સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા સુરતથી જયપુર, સુરતથી અમૃતસર, સુરતથી ગોવા, સુરતથી ચૈન્નાઈ અને સુરતથી હૈદરાબાદની વિમાની સેવાનો પ્રારંભ થઈ શકે છે. આ સંદર્ભે કંપની દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પત્ર લખીને સુરત એરપોર્ટ ખાતે જગ્યા ફાળવવાની રજુઆત કરવામાં આવી છે. જે સંદર્ભે હકારાત્મક પ્રતિભાવ મળતાં જ કંપની દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફની ભરતી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, કુદકે ને ભુસકે સુરત એરપોર્ટ પર વધી રહેલા પ્રવાસીઓની સંખ્યા અને અત્યાર સુધી પાંચ -પાંચ એરલાઈન્સ દ્વારા દેશના અલગ અલગ શહેરોને સાંકળતી વિમાની સેવાઓ બાદ હવે દેશની અન્ય વિમાની કંપનીઓ પણ સુરતથી હવાઈ સેવા શરૂ કરવા માટે તત્પર જણાઈ રહી છે.