(એજન્સી) મુંબઈ, તા.ર૯
બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને જણાવ્યું હતું કે, સોહરાબુદ્દીન કેસમાં ડિસ્ચાર્જ કરાયેલ પોલીસ અધિકારીઓની યાદી રજૂ કરે. એ સાથે એમના ડિસ્ચાર્જને પડકારતા નામો જણાવે અને ચાર્જશીટમાં એમની સામે કયા આક્ષેપો હતા એ પણ જણાવે, કેસને લગતી આ માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
જજ રેવતી મોહિતે-દેરેએ જણાવ્યું કે, એ સોહરાબુદ્દીન શેખના ભાઈ રૂબાબુદ્દીન શેખની અરજીની સુનાવણી કરશે અને એ સાથે સીબીઆઈએ જે પોલીસ અધિકારીઓના ડિસ્ચાર્જને પડકાર્યો છે એની રજૂઆતો પણ સાંભળશે.
રૂબાબુદ્દીન શેખે હાઈકોર્ટ સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી છે. જેમાં એમણે ટ્રાયલ કોર્ટના ઓગસ્ટ ર૦૧૬ અને ઓગસ્ટ ર૦૧૭ના આદેશોને પડકાર્યા છે. ટ્રાયલ કોર્ટે આદેશો આપી પોલીસ અધિકારીઓ વણઝારા, રાજકુમાર પંડિયન અને દિનેશ એમએમને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા.
આ સમયગાળામાં સીબીઆઈએ ચાર્જશીટમાં ૩૮ નામો જણાવ્યા હતા જેમાંથી ટ્રાયલ કોર્ટે ૧પ આરોપીઓને ડિસ્ચાર્જ કર્યા હતા. જેમને ડિસ્ચાર્જ કરાયા હતા એમાં એન.કે.અમીન, ગુજરાત પોલીસ અધિકારીઓ અને ભાજપના અમિત શાહ પણ હતા.
સીબીઆઈએ આ બધામાંથી ફકત અમીન અને કોન્સ્ટેબલ દલપતસિંહ રાઠોડના ડિસ્ચાર્જને જ પડકાર્યા હતા. સીબીઆઈની સ્પે.કોર્ટે આરોપીઓને ડિસ્ચાર્જ કરતી વખતે જણાવ્યું હતું કે, એમની સામે કેસ ચલાવવા માટે સરકાર પાસેથી મંજૂરી મેળવાઈ હતી.
જજ મોહિતે-દેરેએ સીબીઆઈને પ્રશ્ન કર્યો કે એમણે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ડિસ્ચાર્જને કેમ પડકાર્યો નથી. એવું જણાય છે કે, સીબીઆઈ નથી ઈચ્છતી કે કેસ જલ્દીથી ચલાવવામાં આવે.
શેખના વકીલે કોર્ટને માહિતી આપી કે અમુક સાક્ષીઓ ફરી ગયા છે. જજ મોહિતે કહ્યું ટ્રાયલ ર૮મી નવેમ્બરથી શરૂ થઈ છે, તમે નથી ઈચ્છતા કે ડિસ્ચાર્જ અરજીની સુનાવણી ત્વરિત થાય ? શું તમે આતુર નથી ?
સોહરાબુદ્દીન શેખ અને એમની પત્ની કૌશર બીનું અપહરણ કરી બનાવટી એન્કાઉન્ટર કરી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના નવેમ્બર ર૦૦પના વર્ષમાં બની હતી.
બનાવટી એન્કાઉન્ટરના આક્ષેપો ગુજરાત અને રાજસ્થાન પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપર મૂકાયા હતા.