(સંવાદદાતા દ્વારા) વડિયા, તા.૧
તાજેતરમાં સૌરાષ્ટ્રભરમાં શહેરી વિસ્તારમાં પાણીપુરી-ભેળપુરીની લારીઓ ઉપર નગરપાલિકા-મહાનગરપાલિકાઓ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડી નાના અને ગરીબ માણસોની રોજી-રોટી પર પાટુ મારવામાં આવી રહ્યું છે. જેનો સખત વિરોધ કરતા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન અને વડિયા કોંગ્રેસી અગ્રણી દિલીપભાઈ શિંગાળાએ જણાવ્યું છે કે જિલ્લા અને રાજ્યભરમાં ઠેર-ઠેર નકલી દૂધ, ઘી, મીઠાઈના ઠેર-ઠેર હાટડા ધમધમે છે. જે માલેતુજાર લોકો અને તંત્રની સાંઠગાંઠના કારણે કરોડો લીટર નકલી દૂધ અને ઘીનું બેરોકટોક વેચાણ થાય છે તેમજ મોટા રેસ્ટોરેન્ટમાં આરોગ્યને હાનિકારક કલર અને કેમિકલનો ઉપયોગ થાય છે તેની સામે તંત્ર આંખ મીચામણા કરે છે અને બહુ દબાણ થાય તો નામ માત્રની કાગળ ઉપર કાર્યવાહી કરી સંતોષ માને છે અને નાના ગરીબ ધંધાર્થીઓ પર જોહુકમી કરી તેના પરિવારને ભુખમરા હેઠળ ધકેલી દે છે. આવી બેધારી નીતિ અને કાર્યવાહી સામે સખત આક્રોશ વ્યક્ત કર્યો છે.