અમદાવાદ, તા.૩૧
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલી જોગવાઇ અનુસાર વાહનો પર HSRP લગાવવી ફરજિયાત છે. રાજ્યમાં ૧૬ નવેમ્બર,૨૦૧૨થી HSRP લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે.
રાજ્યના જુના વાહનોમાં હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ HSRP લગાવવા માટેની આખરી તા.૩૧/૦૧/૨૦૧૯ જાહેર કરવામાં આવી હતી જે સંદર્ભે લગાવવા માટે જનતાનો આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા ઘસારાને અનુસંધાને તેમજ નાગરિકોની વધુ સગવડતાને ધ્યાને રાખી HSRP લગાવવા માટેની તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે. જે તારીખ સુધીમાં જનતાએ વાહનો પર HSRP લગાડવી ફરજિયાત રહેશે. આ આખરી મુદત હોઇ આ મુદત બાદ તા. ૧લી માર્ચ-૨૦૧૯થી HSRP વિનાના વાહનો સામે સબંધિત તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જેની નાગરિકોએ નોંધ લેવા ખાસ ફરજ પરના અધિકારી, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.