(એજન્સી) તા.રર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે બુધવારે ખુલાસો કર્યો હતો કે ૧૯૯૯માં અટલ બિહારી વાજપેઈની સરકાર તૂટી જતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ માટે દાવો કર્યો હતો અને તે કોંગ્રેસ છોડવા માટેનું મુખ્ય કારણ હતું. પવારે કહ્યું કે વડાપ્રધાન પદ માટેના યોગ્ય દાવેદારો મનમોહનસિંહ અથવા તે પોતે હતા. પુણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે યોજાયેલા ઈન્ટરવ્યુમાં મીડિયા અહેવાલોના માધ્યમથી તેમને સોનિયા ગાંધીના વડાપ્રધાન પદ માટેના દાવા વિશે ખબર પડી હતી.
પરંતુ પવારે આ પણ કહ્યું હતું કે ફક્ત કોંગ્રેસ જ ભાજપનો વિકલ્પ છે. તેમણે રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તાજેતરમાં તેમનામાં ઘણા ફેરફારો આવ્યા છે અને આ એક હકારાત્મક સંકેત છે. પવારે રાહુલ ગાંધીની નવું શીખવાની તત્પરતા, પ્રવાસ અને દેશના લોકો સાથે મળવાની ક્ષમતા માટે તેમની પ્રશંસા કરી હતી.
ગયા મહિનામાં વિપક્ષની એકતા માટે પ્રયત્ન કરનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખે કહ્યું હતું કે તેમને કોંગ્રેસ માટે સારા દિવસો (અચ્છે દિન) દેખાય છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તન આવી રહ્યું છે. વડાપ્રધાને લોકસભામાં આપેલા જવાહરલાલ નહેરૂ વિશેના વકતવ્ય પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે જો તમે કોઈ પદ પર હોવ તો તમારે અંગત પ્રહારો ન કરવા જોઈએ. તેમણે નામ લીધા વગર નરેન્દ્ર મોદીની ટીકા કરતા કહ્યું હતું કે દેશને ચલાવવો એક ટીમ વર્ક છે. પરંતુ હાલની નેતાગીરીમાં આ ભાવનાનો અભાવ જોવા મળી રહ્યો છે. ભાજપની સંસદીય સમિતિના સભ્યો પણ કહે છે કે તેમની નેતાગીરી ભારત વિશે વિચારવાને બદલે ફક્ત ગુજરાત વિશે વિચારે છે.