શબ્બીરભાઈને કૈલાસબેન રાખડી બાંધતા હતા. શબ્બીરભાઈના અવસાન બાદ કૈલાસબેનની દીકરી કાજલે પરંપરા જાળવી રાખી બંને ભાઈઓને રાખડી બાંધે છ

વડોદરા, તા.૩
વડોદરા શહેરના હુજરત પાગા વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી હિન્દુ અને મુસ્લિમ પરિવાર રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે મળીને કરે છે. વર્ષો પહેલા હુજરત પાગામાં રહેતા શબ્બીરભાઈ મનસુરીને કૈલાશબેન રણજીતભાઈ પરમાર રાખડી બાંધતા હતા. જો કેે શબ્બીરભાઈના મૃત્યુ બાદ કૈલાશબેનની દીકરી કાજલે પરંપરા જાળવી રાખી છે. કાજલ નાનપણથી જ શબ્બીરભાઈના પુત્ર તોસિફ (ઉ.વ.૩૦) અને સેઝલ (ઉ.વ.૨૫)ને રાખડી બાંધે છે. આમ બે પરિવારોએ વડોદરામાં હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરી છે. તોસિફ શબ્બીરભાઈ મનસુરીએ જણાવ્યું હતું કે, પહેલા અમે હુજરત પાગા વિસ્તારમાં રહેતા હતા. ત્યાં અમારા બે પરિવારનો સંબધ બંધાયો હતો. કૈલાશબેન મારા પિતાને રાખડી બાંધતા હતા અને કૈલાશબેનની દીકરી કાજલ અમને બંને ભાઈઓને રાખડી બાંધે છે. હાલ અને સરદાર એસ્ટેટ વિસ્તારમાં રહીએ છીએ, પરંતુ, આજે પણ બહેન કાજલ અમને રાખડી બાંધવા માટે જરૂરથી આવે છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હુજરત પાગા વિસ્તારમાં આવેલી ચાલીમાં હિન્દુઓ વચ્ચે અમારો એક જ મુસ્લિમ પરિવાર રહેતો હતો, પરંતુ, અને નવરાત્રિ સહિતના તહેવારો સાથે મળીને ઊજવતા હતા અને ત્યારથી જ અમારો બે પરિવાર વચ્ચેનો ગાઢ સંબધ બંધાયો હતો. બહેન કાજલ અમને રાખડી બાંધવા આવે તે અમને ખુબ જ ગમે છે. તોસિફ શબ્બીરભાઈ મનસુરીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારી સામે આપણે બધાએ સાથે મળીને લડવુ જોઈએ તો જ કોરોના વાયરસને હરાવી શકીશું અને તમામ તહેવારો પણ સાથે મળીને જ ઊજવવા જોઈએ, તો આપણો ભાઈચારો પણ બની રહેશે.
કાજલ પરમારે જણાવ્યું હતું કે, વર્ષોથી અમારા પરિવારો કોમી એખલાસથી જીવતા આવ્યા છે અન હું પણ વર્ષોથી તોસિફભાઈ અને સેઝલભાઈને રાખડી બાંધુ છું.