કોલકાતા, તા. ૨૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સંકેત આપ્યા છે કે, તેઓ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવા માટે પોતે પહેલ કરવાથી પાછળ હટશે નહીં. તૃણમુલ કોંગ્રેસના પ્રમુખે સામુહિક નેતૃત્વ પર ભાર મુક્યો હતો અને મોદી સરકારને વિશ્વાસયોગ્ય પડકાર આપવા માટે વિપક્ષના સતત એકસાથે કામ કરવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, હું પટનામાં લાલુ પ્રસાદને મળી હતી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપાના પ્રમુખ માયાવતી સાથે તેમના સારા સંબંધ છે. મમતા બેનરજીએ આ વાતો એક મીડિયા કાર્યક્રમમાં કહી હતી. મમતાએ ૨૦૧૯ની ચૂંટણીઓમાં મહાગઠબંધન અંગે પૂછાતા જણાવ્યંુ કે, હતું કે મારા દ્રવિડ મુનેત્ર કડગમ (દ્રમુક)ના સ્ટાલિન અને ઓરિસ્સામાં નવીન પટનાયકજી સાથે પણ સારા સંબંધ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મને મળવા આવ્યા હતા. મેં ઘણા અન્ય લોકો સાથે સારા સંબંધ જાળવી રાખ્યા છે. એટલે સુધી કે, મારા ભાજપમાં કેટલાક લોકો સાથે સારા સંબંધ છે પરંતુ કેટલાક લોકો સાથે જ સારા સંબંધ નથી. તેમણે અપ્રત્યક્ષ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તરફ ઇશારો કર્યો હતો.
આગામી લોકસભા ચૂંટણીઓમાં વિપક્ષી દળોને સાથ લાવવા મામલે તેમણે કહ્યું કે, વડાપ્રધાન વિરૂદ્ધ કોઇ અંગત એજન્ડા નથી પરંતુ જ્યારે લોકો સમસ્યાઓનો સામનો કરે ત્યારે અમારૂ કર્તવ્ય છે કે, અમારે અવાજ ઉઠાવવો પડે. હું સામુહિક નેતૃત્વમાં વિશ્વાસ કરૂ છું. હાલમાં પણ તમામ વિપક્ષી દળો સાથે કામ કરી રહ્યા છે અને આ સર્વસંમત નીતિ છે. આપણે એક સાથે મળીને કામ કરવું જોઇએ. સામુહિક નેતૃત્વ અંગેના સવાલ અંગે તેમણે કહ્યું કે, બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી દળો ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે અમે અનુભવીએ છીએ કે, અમારે સાથે મળીને કામ કરવું જોઇએ. અમે અન્ય પાર્ટીઓ સાથે પણ કામ કરી રહ્યા છીએ. ધર્મનિરપેક્ષ ચેમ્પિયન તરીકે વખણાવા છતાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમની બેઠક અંગે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, પ્રથમ તો હું કોઇ પાસેથી ધર્મનિરપેક્ષતા અંગે સર્ટિફિકેટ લેવા માગતી નથી કેમ કે, આ મારૂ જીવન છે અને હું તે પ્રમાણે જ જીવી રહી છુું. હું તેમની આભારી છંું કેમ કે, નોટબંધી બાદ અમે રાષ્ટ્રપતિને મળવા ગયા હતા ત્યારે તેઓ અમારી સાથે હતા. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ નોટબંધીનો વિરોધ કર્યો હતો અને સમાન મુદ્દો હોય તો અમે સાથે કામ કરવા તૈયાર છીએ. આ સાથે જ મમતાએ નોટબંધી અને જીએસટીને મોદી સરકારની સૌથી મોટી ભૂલ ગણાવી છે. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા અંગે તેમણે કહ્યું કે, આ તેમની પાર્ટીની અંગત બાબત છે અને હું દિવંગત રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનું સન્માન કરૂ છું. રાહુલ ગાંધી સાથે કામ કરવા અંગે તેમણે જણાવ્યંુ કે, તમે અમને કામ કરવા દો. મારા વિચારો જાણવા માટે મારા પર તમે દબાણ ન કરી શકો. પોતાની પાર્ટીને રાષ્ટ્રીય સ્તરનીગણાવતા તેમણે કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસ પંજાબ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડમાં એકમને કારણે રાષ્ટ્રીય પાર્ટી માનવામાં આવે છે. અમે ૧૭-૧૮ પાર્ટીઓ એક સાથે મળીને કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યંુ કે, બંગાળ મારી માતૃભૂમિ છે. આપણે બધા ભારતને પ્રેમ કરીએ છીએ. બંગાળ મારી શરૂઆત અને અંત છે તેનો અર્થ એ નથી કે, અમે રાષ્ટ્રીય સ્તરે કામ ન કરી શકીએ. હું ૨૩ વર્ષથી સાંસદ છું. હું કેન્દ્રમાં રેલવે તથા રમત પ્રધાન રહી ચુકી છું. પ્રાંતિય રાજકારણ વિના રાષ્ટ્રીય રાજકારણ નથી. હું બંગાળને ક્યારેય ન ભૂલી શકું પરંતુ અમે દેશ માટે કામ કરી શકીએ છીએ.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જરૂર પડ્યે ભાજપ વિરોધી ગઠબંધનને એક કરવા આગેવાની કરીશ : મમતા બેનરજી

Recent Comments