(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
મહારાષ્ટ્રમાં મરાઠા જાતિને અનામતનો લાભ આપવાની જાહેરાત બાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનામત મુદ્દે આંદોલન ચલાવી રહેલ પાટીદાર સમાજ ફરી એકશનમાં આવી જતાં અને તેમાં પણ પાટીદાર નેતા હાર્દિક પટેલે હવે મહારાષ્ટ્રની જેમ અનામત ન અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા ગુજરાત સરકાર પણ હરકતમાં આવી જવા પામી છે. અગાઉ ના.મુખ્યમંત્રીના થોભો રાહ જુઓના નિવેદન બાદ હવે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહારાષ્ટ્રમાંથી મરાઠા અનામત અંગેનો રિપોર્ટ મંગાવી તેના અભ્યાસ બાદ પાટીદારો અંગે સરકાર નિર્ણય લેશે એમ આશ્વાસન આપતા જણાવાયું હતું.
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રીની ફડણવીસની સરકારે મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં પાટીદારોએ અનાતમ આપવાની માંગ પ્રબળ કરી છે. ત્યારે આ અંગે રાજ્ય સરકારે પોઝિટિવ સંકેત આપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાત સરકાર પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય તે અંગે મહારાષ્ટ્ર સરકાર પાસેથી રિપોર્ટ મંગાવશે. મરાઠાઓને આપેલી અનામત અંગેના રિપોર્ટનો અભ્યાસ કરીને તેના પર ગુજરાત સરકાર કોઈ નિર્ણય કરશે. આ અંગે ચર્ચા કરવા માટે મંગળવારે સરકારની એક મહત્વની બેઠક મળશે.
મહારાષ્ટ્રમાં હવે મરાઠા સમુદાયને અનામત આપવાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે, પછાત પંચે સરકારને ત્રણ ભલામણોની સાથે રિપોર્ટ સોંપ્યો છે. મરાઠા સમુદાયને આર્થિક સ્વરૂપે પછાત વર્ગ (એસઈબીસી)માં સ્વતંત્ર રીતે અનામત આપવામાં આવશે. ફડણવીસે કહ્યું કે, અમે પંચની તમામ ભલામણોને સ્વિકારી લીધી છે. આ મુદ્દે એક કમિટીની રચના કરીને તેને લાગુ કરવા માટે જરૂરી પગલા ઉઠાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત ગુરૂવારે (૧૫ નવેમ્બર) ફડણવીસે સંકેત આપ્યા હતા કે સરકાર ઝડપથી મરાઠા અનામતને લાગુ કરી શકે છે. મુખ્યમંત્રી ફડણવીસે અહમદનગરની એક રેલીમાં કહ્યું હતું કે પછાત પંચે અમને મરાઠા અનામત અંગે રિપોર્ટ આપ્યો છે. હું કહેવા માંગુ છું કે તમે ૧ ડિસેમ્બરને ઉજવણી માટે તૈયાર રહો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજ્યના પછાત વર્ગ પંચે મરાઠા સમુદાયની સામાજિક અને આર્થિક સ્થિતી અંગે સર્વે કર્યા બાદ પોતાનો રિપોર્ટ ગુરૂવારે રાજ્યના મુખ્ય સચિવ ડીકે જૈનને સોંપી દીધો હતો.