સીરિયાના અલેપ્પોની પાસે આવેલા બળવાખોરોના શહેર અલ-શારમાં એક કબ્રસ્તાનમાં મૃતદેહો દફનાવવાની જગ્યા રહી નથી એટલી હદે તે ભરચક થઈ ગયું હોવાના અહેવાલો મળ્યા છે. આ કબ્રસ્તાનમાં દફનાવાયેલા કુલ મૃતદેહોનો આંકડો કબર પર ખોડવામાં આવેલ તકિયાના પથ્થર પર લખવામાં આવે છે. જે આંકડો ૪,૭૦,૦૦૦ને પાર કરી ચૂક્યો છે અર્થાત આટલા લોકો તો આ કબ્રસ્તાનમાં દફનાવાઈ ચૂક્યા છે. જો કે દેખીતી રીતે જ આ આંકડો અધૂરો છે કેમ કે મીટરની જેમ આ આંકડો દરરોજ વધી રહ્યો છે. એટલી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે કે સીરિયામાં કદાચ શહેરોમાં જીવતા લોકો કરતા આવા કબ્રસ્તાનોમાં દફન થયેલા લોકોની સંખ્યા વધુ હશે. યુનો અને આરબ લીગના સીરિયા ખાતેના રાજદૂતે ગત એપ્રિલ માસમાં સીરિયામાં આંતરવિગ્રહમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ચાર લાખથી વધુ હોવાનો અંદાજ આપ્યો હતો. ત્યારબાદ છ મહિના વીતી ગયા અને એમાં સેંકડો લોકો વધુ મૃત્યુ પામી ચૂક્યા છે. મતલબ યુદ્ધમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા રાત્રે ન વધે એટલી દિવસે વધે છે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે છે. સીરિયાના આ કબ્રસ્તાનોને જોઈને વિશ્વના સૌથી મોટા કબ્રસ્તાન ‘વાદી અલ-સલામ’ની યાદ આવ્યા વગર ન રહે. વાદી અલ-સલામ યાને કે શાંતિની ખીણ જેનો અર્થ થાય છે એ ઈરાકમાં નજફ ખાતે આવેલા આ કબ્રસ્તાનની તસવીર અત્રે આપી છે પણ એ પહેલા ખીચોખીચ-જંગી માત્રામાં ફ્લેમિંગોથી ભરેલી કેન્યાની તસવીર પણ આપી છે કે જેથી આવી જે રીતે ખીચોખીચ ભરેલા કબ્રસ્તાન સાથે તેની સરખામણી કરી શકાય. ઠસોઠસ જિંદગી અને ઠસોઠસ મોતથી ભરેલી આ તસવીરોનું શિર્ષક એટલે જ ‘જમીનથી ઉપર અને નીચે’ આપ્યું છે. આજે ઘણા મુસ્લિમ રાષ્ટ્રોમાં એવી સ્થિતિ પ્રવર્તે છે ખાસ કરીને સીરિયા અને ઈરાક જેવા દેશોમાં વસતા લોકો માટે જીવન સાવ અનિશ્ચિત થઈ ગયું છે. એમને એ વાતનો સ્હેજેય અંદાજો નથી આવતો કે આવતીકાલે કોણ ‘ઉપર’ હશે અને કોણ ‘નીચે’.
પ્રથમ તસવીર કેન્યાના લોગીપી સરોવરના આકાશમાંથી ઝડપવામાં આવી છે જેમાં જીવંત ફ્લેમિંગો પક્ષીઓનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે જે આફ્રિકન વન્યજીવનના વિશિષ્ટ અને અદભુત પરિપ્રેક્ષ્યને દર્શાવી જાય છે.
જ્યારે બીજી તસવીર ઈરાકના પવિત્ર શહેર નજફના આકાશમાંથી ઝડપવામાં આવેલા શહેરના પ્રાચીન ઈસ્લામિક કબ્રસ્તાનની વાદી અલ-સલામ (શાંતિની ખીણ) છે. ઉપરથી આ કબ્રસ્તાન જાણે ધબકતા શહેર જેવું લાગે છે પરંતુ જો નીચે જઈને નજીકથી જોઈએ તો કંઈક અલગ જ પરખાય છે. આ વિશ્વવિક્રમી કબ્રસ્તાનમાં અંદાજે પ૦ લાખથી વધુ કબરો છે અને તેમાં એટલા લાખ લોકો દફન છે કે જેના કારણે આ કબ્રસ્તાન પૃથ્વી પરનું સૌથી મોટું કબ્રસ્તાન છે. અહીં નબીઓથી માંડીને વલીઓ, બુઝુર્ગો અને આમ આદમીઓ પણ દફન થયા છે. છેલ્લા ૧પ૦૦ વર્ષથી તો અહીં નિયમિતપણે લોકોને દફનાવાય છે. એક અંદાજ પ્રમાણે અહીં દર વર્ષે પાંચ લાખ લોકોને દફનાવાય છે. આ કબ્રસ્તાનમાં પ્રવેશો તો જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં બસ માત્ર કબરો જ દેખાય છે. નજરનો પન્નો ટૂંકો પડે એટલી માત્રામાં કબરો આવેલી છે. આ કબરોની સંખ્યા મોટાભાગના શહેરોમાં વસતા લોકોની સંખ્યા કરતા વધુ છે.