(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૨૯
૩૧ ઓકટોબરના રોજ સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે આખું ધરમપુર બંધ રહેશે, ધરમપુરના તમામ વેપારીઓ અને ગામડામાંથી આવતા આદિવાસી છૂટક વેપારીઓને આદિવાસી એકતા પરિષદ દ્વારા બંધના એલાનમાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. એકતા પરિષદ જણાવ્યું છે કે, ધરમપુર એ આદિવાસી ગામ છે. આથી, બંધમાં સહયોગ નહીં આપનારા વેપારી-દુકાનનો અમે આદિવાસીઓ બહિષ્કાર કરીશું, તેમજ ૩૧ ઓકટોબરના રોજ જે દુકાન ચાલુ રહશે, તેમાંથી અમે આદિવાસીઓ કંઈ પણ ખરીદી કરીશું નહીં. ધરમપુરના તમામ ખાનગી વાહનો (ટેમ્પો-રિક્ષા- જીપ-મીની બસ) ચાલકોને વિનંતી છે કે, તેઓ ૩૧ ઓકટોબરના રોજ પોતાનું પેસેન્જર વાહન આ દિવસે ચલાવવું નહીં. ૩૧ ઓકટોબરના રોજ આદિવાસી સમાજે આપેલ બંધમાં સહયોગ આપશો. વલસાડ જિલ્લા આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે અને વલસાડ જિલ્લામાં લોકસભાની આદિવાસી અનામત સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ડૉ. કે.સી. પટેલ વિજેતા છે અને વિધાનસભાની સીટો પણ આદિવાસી અનામત છે. છતાં પણ આ વખતે વલસાડ જિલ્લામાંથી જ વધારે રોષ વધતો જાય છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લા પ્રશાસન તંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વલસાડ જિલ્લામાં બંધમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાત-દિવસ મહેનત કરવી પડી રહી છે. સૌથી વધુ ખરાબ અસર તો જાહેર રોડ ઉપર જે પોસ્ટરોની જાળવણીની સલામતી જરૂરી છે. આદિવાસીઓમાં આ વખતે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા સરકાર સામે ઉગ્ર વિરોધના સમાચાર વાવાઝોડા સાથે ફેલાઈ ગયા છે અને હાલમાં સરકાર ની મુશ્કેલી વધારી રહ્યા છે.