અમદાવાદ, તા.૨
અમદાવાદ શહેરને આ વર્ષે જુન માસમાં પોલેન્ડના કારકો ખાતે મળેલી યુનેસ્કોની હેરિટેજસીટીનો દરજ્જો બેઠકમાં અહમદાબાદ શહેરને આપવામાં આવ્યાબાદ હેરિટેજ ગૌરવ સપ્તાહની ઉજવણી કરવા મામલે અગાઉ કરવામા આવેલી ત્રણ વખતની જાહેરાત અને હવે આચાર સંહિતાના બહાને વધુ એક વખત હેરિટેજ ગૌરવ સપ્તાહની ઉજવણી સત્તાવાળાઓ દ્વારા મોકૂફ રાખવામાં આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર, પોલેન્ડના કારકો ખાતે ૨ જુનથી ૧૨ જુન દરમિયાન યુનેસ્કોની હેરિટેજ કમિટીની એક બેઠક મળી હતી આ બેઠકમાં વિશ્વના શ્રેષ્ઠ હેરિટેજ શહેરની પસંદગી કરવાની હતી.આ બેઠકમાં અમદાવાદ શહેરના ૬૦૫ થી વધુ વર્ષોના ઈતિહાસને ધ્યાનમા રાખીને મોકલવામા આવેલા ડોઝીયર અને યુનેસ્કોની ટીમ દ્વારા અમદાવાદ શહેરની લેવામા આવેલી મુલાકાત બાદ અમદાવાદ શહેરને ગત ૮ જુનના રોજ વૈશ્વિક હેરિટેજ શહેરનો દરજ્જો આપવાની જાહેરાત કરવામા આવી હતી.અમદાવાદ શહેરને મળેલા આ ગૌરવ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા શહેરમાં એક સપ્તાહ સુધી હેરિટેજ ગૌરવ સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત કરવામા આવી હતી.દરમિયાન આ અંગેના કાર્યક્રમોની જાહેરાત પણ કરી દેવામા આવી હતી આ સમયે જ રાજય સરકાર તરફથી યોજવામાં આવેલા કાર્યક્રમને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિ.ના કાર્યક્રમને મોકૂફ કરી દેવામા આવ્યો હતો.બીજી તરફ આ સમયે અમરનાથ યાત્રીઓ ઉપર હૂમલો કરવાની ઘટના બનતા શહેરના મેયર દ્વારા મ્યુનિ.બોર્ડમાં આ કાર્યક્રમ એક સપ્તાહ સુધી મુલ્તવી રાખવાની જાહેરાત કરવામા આવી હતી.આ તરફ અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે ફરી એક વખત આ ઉજવણી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી અને હવે ચૂંટણીની આચાર સંહિતાના નામે વધુ એક વખત આ ઉજવણી મોકૂફ રાખવામા આવી છે.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,યુનેસ્કો દ્વારા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને આપવામા આવેલી ગાઈડ લાઈનનો કયાંય અમલ કરવામા આવતો નથી.ભદ્ર હોય કે અન્ય વિસ્તારો દબાણો યથાવત છે ઉપરાંત હેરિટેજ ઈમારતોની આસપાસ ગેરકાયદેસર બાંધકામ પણ ચાલુ છે.જેને લઈ અમદાવાદને મળેલુ બિરૂદ ભયમા મુકાઈ શકે છે.