(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧૩
આજથી બે વર્ષ પૂર્વે વડાપ્રધાન દ્વારા કરાયેલી નોટબંધી બાદ નોટબંધીને મળેલી નિષ્ફળતા અને નોટબંધીના કારણે થયેલી આડઅસરોના વિરોધમાં આજે અમુલ ડેરી નજીક આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં કરી વડાપ્રધાન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આજથી બે વર્ષ પૂર્વે ૮મી નવેમ્બર ૨૦૧૬ની રાત્રિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપખુદ રીતે ૧૫.૪૪ લાખ કરોડના ચલણી નાણાંની ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ નોટબંધી કરવાના ઉદ્દેશ પૈકી એક પણ ઉદ્દેશ સિદ્ધ થયો નથી અને નોટબંધી નિષ્ફળ નીવડી છે. જેને લઈ નોટબંધી કરવાના વિરોધમાં આજે આણંદ શહેરમાં અમુલ ડેરી નજીક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ઠાકોરના નેતૃત્વમાં ધારાસભ્ય કાંતિભાઈ સોઢા સહિત કોંગ્રેસના અગ્રણીઓએ ધરણાં કરી નોટબંધીની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કપિલાબેન ચાવડા, આણંદ શહેર કોંગ્રેસ મહામંત્રી અલ્પેશ પટેલ, આણંદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ યશવંતસિંહ, આણંદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ કીન્નરીબેન દવે, મહિલા કોંગ્રેસ અગ્રણી ઈશ્વરીબેન શર્મા, કુમકુમસિંઘ કાઉન્સિલર સલીમશા દિવાન, નગરપાલિકાના વિપક્ષના દંડક કેતન બારોટ, વલ્લભ વિદ્યાનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જલ્પા શર્મા, સંદેશરના નીતીનભાઈ પટેલ, સોજીત્રા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દીપેશસિંહ મહીડા, મીનાબેન ડાભી, જતીન દવે, વીરેન્દ્ર ચાવડા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી નોટબંધી બાદ મળેલી નિષ્ફળતા સામે ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.