(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
અમદાવાદના દસકોઇ તાલુકાના પીરાણા ગામ સ્થિત હઝરત પીર ઇમામશાહ બાવાની દરગાહના જનાર્દન હરીજી મહારાજ (સતપંથી – ફૈઝપુરવાળા) દ્વારા યુવા પેઢી તથા સમાજનાં લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાથી આજે જિલ્લા કલેકટરને દરગાહનો વંશજોએ આવેદન પત્ર સુપ્રત કરી કાર્યવાહી કરવા માંગણી કરેલી છે. પીરાણામાં પ્રસિધ્ધ પીર ઇમામશાહ બાવાની દરગાહ આવેલી છે. જેમના અનુયાયીઓ સતપંથી તરીકે ઓળખાય છે, અને વંશજો સૈયદ તરીકે ઓળખાય છે. વહીવટ અને સંચાલન કોર્ટ દ્વારા રચવામાં આવેલી સ્કિમ દ્વારા થાય છે. દરગાહ ઉપર તમામ કોમ અને ધર્મનાં લોકો આસ્થા ધરાવે છે. કોમી એકતાના પ્રતિક તરીકે આ દરગાહ ખ્યાતિ ધરાવે છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, જનાર્દન હરીજી મહારાજ (સતપંથી) દ્વારા સમાજના લોકોને ઉશ્કેરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. સંસ્થાની કોમી એકતાને ડાઘ લાગે તેવા કૃત્યો કરી રહ્યાં છે. જનાર્દન હીરજી મહારાજ દ્વારા તા.૮-૯-૨૦૧૮ નાં રોજ આવેલ તેમના બોધ, શિક્ષણ તથા પ્રવચનમાં ઉશ્કેરણી જનક ઉચ્ચારણો કરેલા તેનો એક વિડીયો યુ-ટયુબ ઉપર વાયરલ થયેલો છે. દરગાહ ઉપર બુલડોઝર ફેરવવા અને ત્યાં આવેલ ઇમામશા બાવાની કબરને નેસ્ત નાબૂદ કરવા, મસ્જીદને નુકશાન કરવા યોજના બનાવી ઉશ્કેરણી કરે છે. આને લીધે વાતાવરણ તંગ બન્યું છે. આથી દરગાહની જાળવણી કરવા અને ન્યાયનાં હીતમાં યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. હઝરત પીર ઇમામશાહ બાવાની દરગાહ રોજા તરીકે ઓળખાય છે. ચેરીટી કમિશ્નર હેઠળ નોંધેલ તમામ દસ્તાવેજો મુજબ આ ટ્રસ્ટે એ દરગાહ, રોજા સાથે ઇસ્લામ ધર્મની નિસ્બત અને અસ્તિત્વ ધરાવે છે. દરગાહમાં સંદલ, ઉર્સનાં તહેવારો, ધાર્મિક ભેદભાવ વગર ઉજવવાય છે. સંદલ, ઉર્સના ઠરાવો પણ કમિટી દ્વારા કરવામાં આવે છે તેમ છતાં જનાર્દન હરીજી મહારાજ (સતપંથી – ફૈઝપુરવાળા) દ્વારા ઉશ્કેરણીજનક ઉશ્કેરણી કરવામાં આવતા દરગાહના વંશજ સૈયદ મહંમદઅલી, સૈયદ યુસુફઅલી, સૈયદ આરીફઅલી લીયાકતઅલી, સૈયદ તાહીરઅલી મોહીબઅલી તથા સૈયદ સમસાદઅલી હસનઅલી વિગેરેએ આજે કલેકટરને આવેદન પત્ર આપી જનાર્દન મહારાજ સામે પગલા ભરવા રજુઆત કરી હતી.