માંગરોળ, તા.રપ
ભીલિસ્થાન ટાઈગર સેનાના સુરત જિલ્લાના પ્રમુખ ઉત્તમભાઈ વસાવાના નેતૃત્વમાં મોસાલી ચાર રસ્તા ખાતેથી આજે એક રેલી નીકળી હતી. જે માંગરોળ મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર માંગરોળના મામલતદાર કે.ડી. કોળીને સુપ્રત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને સંબોધીને તૈયાર કરાયેલ આ આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે દેશના સત્તા પક્ષ સાથે સંબંધિત નિરંકુશ બળાત્કારી હિંસક કુર-ઘાતકી ટોળા તત્ત્વોથી દેશની બેટી બચાવો, મહિલાઓ, નાદાન સગીર બાળકીઓ ઉપરના સામૂહિક બળાત્કારો, અત્યાચારો અટકાવવા તથા મા-બહેન-બેટીઓને સમાન સુરક્ષા પૂરી પાડવાની સાથે બળાત્કારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી અનિવાર્ય છે. યુપીના ઉન્નાવ ખાતે ધારાસભ્યએ કરેલા અમાનવીય બળાત્કારના અધમ અપરાધ છતાં સત્તા પક્ષ દ્વારા, સંરક્ષણ અપાતા બેશરમ, નિરંકુશ થઈ બળાત્કારનો ભોગ બનેલ મહિલાના પિતાને જ આરોપી બનાવી દઈ, ખોટા કેસમાં સંડોવી દઈ, અટકાયત કરી, કસ્ટડીમાં અમાનુષી માર-મારી હત્યા કરાઈ છે. કોર્ટના આદેશ પછી પણ ધારાસભ્યની અટક કરાઈ નથી. દેશમાં દરરોજ ૧૦૭ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. સને ર૦૧૬માં ર૧ર૬ સગીર બાળાઓ ઉપર બળાત્કાર કરાયા હતા. દર ૧૪ મિનિટે એક બળાત્કારની ફરિયાદ દાખલ થાય છે જેથી આ બધી સમસ્યાના નિવારણ માટે તથા ટોળા હિંસા બળાત્કારો-અત્યાચારોને નિયંત્રણમાં લેવા માટે સત્વરે કાયદો અમલમાં આવવો જોઈએ. આ પ્રસંગે સુરત જિલ્લા ભિલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ ઉત્તમભાઈ વસાવા, સુભાષ વસાવા સહિત બી.ટી.એસ.ના કાર્યકરો હાજર રહ્યા હતા.