(એજન્સી) ઈન્ડોનેશિયા, તા.ર૭
ઈન્ડોનેશિયાના દ્વિપ બાલીમાં કોઈ પણ સમયે ભિષણ જ્વાળામુખી ફાટી નીકળવાની સોમવારે ચેતાવણી આપવામાં આવી હતી જેને પગલે લગભગ ૪૦,૦૦૦ જેટલા લોકો સ્થળાંતર કરી ગયા છે. જોખમકારક ઝોન જાહેર કરાયા બાદ હવાઈમથક અને ઉડ્ડયનો બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા છે. માઉન્ટ આગુંગમાં ગત સપ્તાહથી જ્વાળામુખીની ત્રણ કિલોમીટર ઊંચી લપેટો જોવા મળતી હતી. જેમાં લગાતાર રાખ નીકળી રહી છે અને વિસ્ફોટકો પણ થઈ રહ્યા હતા. રાષ્ટ્રીય આપત્તિ નિવારણ એજન્સી અનુસાર, આ મોટું વિસ્ફોટ થવાનું સંકેત હોઈ શકે છે. પર્યટન સ્થળ કુટાના કિનારાથી ૭.પ કિલોમીટર દૂર આંગુંગની સીમા વધારીને ૧૦ કિલોમીટર કરી દેવામાં આવી છે. એજન્સી પ્રવક્તાએ જકાર્તા ખાતે ન્યુઝ કોન્ફરન્સમાં જણાવ્યું કે જોખમી જોન રર ગામડાઓને અને ૯૦ હજારથી એક લોકોને પ્રભાવિત કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ૪૦,૦૦૦થી વધુ લોકોએ પોતાનું ઘર છોડી સલામત સ્થળે સ્થળાંતર કર્યું છે. હજારો લોકો હજુ પણ પોતાનું ઘર છોડવા તૈયાર નથી. અધિકારીઓએ જણાવ્યું કે જરૂર પડ્યે અમે બળજબરીપૂર્વક સ્થળાંતર કરાવીશું.