ભરૂચ, તા.૨૧
જમિઅતે ઉલમા, જિલ્લા ભરૂચની વીંગ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને જમિઅતના હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને માનવતાવાદી મહાનુભાવો દ્વારા જિલ્લા સમાહર્તા કાર્યાલયમાં ઉપસ્થિત રહી રોહિંગ્યા મુસ્લિમોના સામૂહિક હત્યાકાંડ, પાશવી અત્યાચાર, નગ્નબર્બરતા અને હેવાનિયતના હુતાશનને બંધ કરવાના હેતુસર લોકશાહી પદ્ધતિને અનુસરીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં છેલ્લા કેટલાક સમયથી બર્મા-મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચાર અને અમુક સામૂહિક હત્યાકાંડ અને ઝુલ્મો-સિતમની બર્બરિયતને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી અને બર્મા-મ્યાનમારના નરસંહારને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો.
આવેદનપત્ર અર્પણવિધિમાં ભરૂચ જિલ્લા જમિયએ ઉલમાના મુફ્તી અહમદ યાકુબ પટેલ, નાયબ સદર મૌલાના શોકત ભાગલપુરી, મૌલાના ઈકબાલ ટંકારવી, મૌલાના અ.સમદ કાવી, હાફેઝ દાઉદ પારખેતી, મૌલાના વલી સુરતી, મૌલાના મુસા આછોદી, ઈદ્રીશ સારોદવાલા, મૌલવી સાજીદ ટેલર, સામાજિક કાર્યકર સલીમભાઈ અમદાવાદી, ભરૂચ વ્હોરા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈકબાલભાઈ પાદરવાલા વગેરે હાજર રહ્યા હતા. નાયબ કલેક્ટર સમક્ષ આવેદનપત્રનું વાંચન કરી અર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટરે આવેદનપત્ર સંબંધિતોને હૈયાધારણ આપી હતી.