(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ભીમા-કોરેગાંવ હિંસા સંદર્ભે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ આરોપીઓની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટે હાથ ધરી હતી. એ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પાંચેય આરોપીઓની નજરકેદ વધુ એક અઠવાડિયા માટે લંબાવવામાં આવે છે. હવે આગામી સુનાવણી ૧રમી સપ્ટેમ્બરે કરાશે.
મળતા સમાચારો મુજબ સુપ્રીમ કોર્ટે પોલીસને નિર્દેશો આપ્યા છે કે એ મીડિયા સાથે આ બાબત કોઈ ચર્ચા નહીં કરે. વધુમાં કોર્ટે કહ્યું કે આના લીધે ધરપકડ કરાયેલ આરોપીઓની સમાજમાં છબિ ખરડાય છે. પોલીસ દ્વારા કરાયેલ કોઈ પણ ટિપ્પણીનું ખોટું અર્થઘટન કરી એમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકાય છે. કોર્ટે મહારાષ્ટ્ર પોલીસની ઝાટકણી કાઢી હતી. કારણ કે થોડા દિવસો પહેલા પોલીસે પત્રકાર પરિષદ યોજી બધા પુરાવાઓ મીડિયા સમક્ષ જાહેર કર્યા હતા. ર૮મી ઓગસ્ટે પુણેની પોલીસે ૧લી જાન્યુઆરી ર૦૧૮ના રોજ ભીમા-કોરેગાંવમાં થયેલ હિંસાના અનુસંધાને પોલીસે ખ્યાતનામ પાંચ વ્યક્તિઓની ધરપકડ દેશના જુદા-જુદા શહેરોમાંથી કરી હતી.