અમદાવાદ, ૨૪
શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અવકાશી આફતમાં ભીંજાઈને નિંદ્રાધીન થઈ ગયેલી ભાજપ સરકાર ક્યાંય દેખાતી નથી. કાગળ ઉપરના પ્રિમોન્સુન પ્લાનની નિષ્ફળતા સાથે મોટાં મોટાં ખાડાઓ અને ભૂવાઓ પડવા ઉપરાંત રોડ અને પુલ તુટી જતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. આથી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સાથે મેયરથી લઈ માર્ગ અને મકાન મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જાઈએ. કારણ કે ભાજપની સરકાર બેનરો, પોસ્ટરોમાં જ રચી-પચી રહે છે. જો એટલું જ ધ્યાન રસ્તા – પ્રિમોન્સુન પ્લાનમાં રાખ્યું હોત તો આજે ગુજરાતની જનતાને મુશ્કેલીઓ ન પડી હોત અને કરોડો રૂપિયાનું નુકસાન ન થયું હોત. બીજુ કે અમદાવાદ રીંગ રોડ પરનો બોપલ ઓવરબ્રિજ બંધ કરવો પડ્યો, રીવરફ્રન્ટના આધુનિક રોડનું ધોવાણ. આમ ઠેર ઠેર ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતમાં વરસાદના આગમનથી ખુલ્લો પડી ગયો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, શુક્રવારથી શરૂ થયેલાં સતત વરસાદે માત્ર ૨૪ કલાકમાં જ ભાજપ સરકારનાં ભ્રષ્ટાચાર અને મોન્સુન પ્લાનની પોલ ખોલી નાંખી છે. ખાસ કરીને મહાનગરોમાં તો ચાર-પાંચ ઈંચ જેટલાં વરસાદમાં ભાજપ સરકાર અને કોર્પોરેશનની પ્રિમોન્સુન પ્લાનની પોકળ વાતો ક્યાંય ધોવાઈ ગઈ છે. મહાનગરનાં એકપણ વિસ્તાર રોડમાં મસમોટાં ખાડાઓ કે ભૂવા પડવાથી બાકાત રહ્યો નથી. રોડ અને પુલ – ગરનાળાં તુટી જવા સાથે કાંકરી – મેટલવાળાં થઈ ગયેલા દરેક રોડમાં ભ્રષ્ટાચાર બહાર ડોકાયો છે. મહાનગરોનાં નિચાણવાળા અને ઉંચાઈવાળાં વિસ્તારોમાંથી પણ વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી. સમગ્ર જનજીવન ભારે હાલાકીમાં મુકાયું હોવાં છતાં ભાજપનાં ભ્રષ્ટ તંત્રનાં એકપણ અધિકારી કે પદાધિકારી આફતમાં મુકાયેલી પ્રજા વચ્ચે ફરક્યાં નથી. જ્યારે નવસર્જન ગુજરાતના પ્રણેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના આહવાનથી ગુજરાતની જનતા ઉપર આવી પડેલી કુદરતી આફતમાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને ધારાસભ્યો પોતાના વિસ્તારમાં માનવશક્તિના સહારે ઠેર – ઠેર પાણીમાં ફસાયેલા નાગરિકોને મદદરૂપ બની રહ્યા છે અને જ્યા પાણી ભરાવાથી રોગચાળો ફાટી નીકળે તેવી જગ્યાએ પાણીનો યોગ્ય નિકાલ કરવા લાગી ગયા છે. જ્યારે અસરગ્રસ્તોને મદદ કરવાનાં બદલે મુખ્યમંત્રી અને સરકારે હવે સફાળા જાગીને માત્ર મિટીગોનો દોર શરૂ કર્યો છે. ભાજપ સરકારને આ સ્થિતિમાં યુદ્ધનાં ધોરણે અસરગ્રસ્તોની મદદે પહોંચવાનું જણાવતાં તેમણે કહ્યું છે કે, વ્યાપક ભ્રષ્ટાચાર બાદ હવે પોતાની જવાબદારીમાંથી છટકી રહેલી ભાજપ સરકારનાં જવાબદાર મંત્રીઓ તેમજ મેયરે રાજીનામું આપી દેવું જાઈએ.
1
4