અમદાવાદ, તા. ૫
ચાલુ વર્ષે સરકારે નવરાત્રિ વેકેશન આપવાની જાહેરાત કરી હતી. જેના અનુસંધાને આ વર્ષે નવરાત્રિ વેકેશન બોર્ડની તમામ શાળાઓમાં જાહેર કર્યું છે ત્યારે સરકારના પરિપત્રમાં સીબીએસઈ ઈન્ટરનેશનલ સ્કૂલોમાં વેકેશન અંગે કોઈ ઉલ્લેખ કે સ્પષ્ટતા કરાઈ ન હતી. જેથી નવરાત્રિ વેકેશન મુદ્દે સીબીએસઈ અને ઈન્ટરનેશનલ સ્કૂલો અસમંજસની સ્થિતિમાં મુકાઈ છે અને જો સરકાર બે દિવસમાં જવાબ નહીં આપે તો, નવરાત્રિનું વેકેશન રાખવું કે નહીં તે અંગે પોતે નિર્ણય કરશે.
અમદાવાદ એસોસિયેશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલોએ પત્ર લખીને CBSE સ્કૂલોને વેકેશન લાગુ પડે કે નહીં તે અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી. પરંતુ સરકારે આ અંગે કોઈ સ્પષ્ટતા ન કરતાં ગુરુવારના રોજ મળેલી એક મિટિંગમાં કામચલાઉ ધોરણે નવરાત્રીમાં વેકેશન નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે હજુ નવરાત્રીને ૫ દિવસ બાકી છે ત્યારે સરકાર આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે તો આ નિર્ણયમાં ફેરબદલ કરવાનો મત તમામ સંચાલકોએ વ્યક્ત કર્યો હતો. જો સરકાર ત્વરિત જવાબ નહી આપે તો CBSE સ્કૂલો નવરાત્રીના છેલ્લા ૪ દિવસ વેકેશન આપી શકે છે, તથા શાળાઓ ૪ કલાક જ ચલાવવી તથા શાળાઓ સવારે મોડે પણ શરુ કરી શકે છે. તથા મહિનાના તમામ શનિવારે શાળાઓ શરુ રાખી વર્કિંગ ડે પુરા કરવાનો પણ નિર્ણય લઇ શકે છે. અગ્રણી ૫૦ પૈકી પાંચ જેટલી સ્કૂલોએ વેકેશન રાખવાનો મત રજૂ કર્યો હતો. તો ઘણી સ્કૂલો વીકેન્ડની રજાને જોડીને પાંચ દિવસની રજા આપવાનું વિચારી રહી છે, પરંતુ મોટાભાગની સ્કૂલોમાં વેકેશન આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ગુજરાત બોર્ડની તમામ સ્કૂલોમાં નવરાત્રી વેકેશન આપવાનો પરિપત્ર કર્યો હતો, પરંતુ ગુજરાત બોર્ડ સિવાયનાં નેશનલ, ઇન્ટરનેશનલ બોર્ડે નવરાત્રી વેકેશન અંગે શું કરવું તેની સરકારે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. પરિણામે ખાનગી સ્કૂલોનાં સંચાલકોના એસોસિએશને સરકારને સ્પષ્ટતા કરવા પત્ર લખ્યો હતો. એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, નવરાત્રી અંગે અત્યાર સુધી નેશનલ અને ઇન્ટરનેશનલ CBSE બોર્ડ માટે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આથી AOPSની સ્કૂલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું નથી. જો આવનારા દિવસોમાં સરકાર આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે તો અમે તેને જરૂરથી અનુસરીશું.