(એજન્સી) તા.૧૦
નાગરિકતા સુધારા બિલની સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં ચર્ચા છે. એવામાં જામીન પર મુક્ત થયેલા પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમે પણ હવે ભાજપને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે આ બિલ ગેરબંધારણીય છે અને તેના પર અમે સુપ્રીમકોર્ટમાં ફાઇટ કરીશું. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારા બિલને ભાજપે બહુમતીના જોરે સરળતાથી લોકસભામાં પસાર કરાવી લીધું હતું પરંતુ હવે રાજ્યસભામાં આ બિલ પર ફાઇટ જોવા મળી શકે છે. આ દરમિયાન પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ટિ્વટના માધ્યમથી મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે નાગરિકતા સુધારા બિલ ગેરબંધારણીય છે. સંસદે એ બિલને પસાર કર્યુ છે જે ગેરબંધારણીય છે અને હવે આ મામલે અમે સુપ્રીમકોર્ટમાં પડકાર ફેંકીશું. કોંગ્રેસ નેતાએ એક અન્ય ટિ્વટમાં લખ્યું છે કે ચૂંટાયેલા સાંસદ વકીલો અને ન્યાયાધીશોના પક્ષમાં પોતાની જવાબદારીનું વહન કરી રહ્યાં છીએ. અમે એક પાર્ટીને બહુમતી આપવાની કિંમત ચૂકવી રહ્યાં છીએ. તે રાજ્યો અને લોકોની ઇચ્છાઓને કચડી નાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે નાગરિકતા સુધારા બિલનો મુખ્ય ઉદ્દેશ્ય છ સમુદાયોને ભારતીય નાગરિકતા આપવાનો છે. હિન્દુ, શીખ, ઇસાઇ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી સમાજના લોકોને આ બિલના માધ્યમથી નાગરિકતા આપવામાં આવશે. સરકાર વર્તમાન કાયદામાં સુધારા કરીને તેમને ભારતીય નાગરિકતા આપશે. આ બિલમાં મુસ્લિમોને સામેલ નહીં કરવામાં આવે.