કાશ્મીરથી વિસ્થાપિત થયેલા પંડિતોને સરકારે તમામ સુખ સગવડભર્યા ઘર આપ્યા અને આજે પણ તેમના માટે સહાયનો ધોધ ચાલુ છે. એ ભારતીય છે તો ગુજરાત રમખાણકાંડના પીડીતો પણ ભારતીય છે, તેમને સરકારે શા માટે એક જમીનનો ટુકડો સુદ્ધા ન આપ્યો ? એટલું જ નહીં એક નર્ક સમાન યાતનામાંથી પસાર થયેલા આ લોકો આજે પંદર વર્ષે પણ નર્ક સમાજ સ્થિતિમાં જીવી રહ્યા છે. ર૦૦રના કોમી રમખાણોમાં પોલીસની નિષ્ક્રિયતા કે એકતરફી વલણને કારણે કટ્ટરવાદીઓ બેફામ બની હેવાનિયતની સીમાઓ વટાવી ગયા. જેના પરિણામે સમગ્ર ગુજરાતમાં અનેક મુસ્લિમોને શહાદત વહોરવી પડી. તેમની માલ-મિલકતને પારાવાર નુકસાન થયું. અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં પણ હેવાનોએ હેવાનિયતની હદ વટાવતાં અનેક મુસ્લિમોએ જાન-માલ-મિલકત બધું જ ગુમાવ્યું ત્યારે સરકારે તો તેમને રહેવા માટે વ્યવસ્થા ન કરી પણ સ્વૈચ્છિક સંગઠનોએ મદદ કરી રહેવાની વ્યવસ્થા કરી આપી. આવા જ એક સ્થળનું નામ છે ‘સિટિઝનનગર’ આ માત્ર કહેવા પુરતું ‘સિટિઝનનગર’ છે. અહીંના રહેવાસી આ નગરમાં નર્કાર્ગાર કરતાં પણ બદતર હાલતમાં જીવી રહ્યા છે. એક તરફ છે ડમ્પીંગ સાઈટ કે જ્યાં કચરાના મોટા ડુંગરો ઊભા છે. બીજી તરફ ઝેરી ધુમાડો ઓકતી ઝેરી કેમિકલની ફેકટરીઓ. રાત થાય ને ધમધમતી ઉડતી આ ફેક્ટરીઓમાંથી આવતી કાતીલ દુર્ગંધ કારણે ઊંઘવું મુશ્કેલ બને છે. અનેક લોકો કેન્સર અને કીડની, ટીબી જેવી જીવલેણ બીમારીઓના ભોગ બન્યા છે. એક સ્થાનિક રેહાનાબેન કે જે નરોડા પાટિયાના પીડિતા છે તેમણે અહીં આવી આ પ્રદૂષણના ઝેરના કારણે કેન્સર થતાં પતિને અને કીડની ખરાબ થતાં પુત્રને ગુમાવ્યા છે. જ્યારે આવા તો અનેક લોકો અહીં વસે છે. આ અંગે એક સ્થાનિક રેશમા સૈયદે પોતનો આક્રોશ વ્યક્ત કર્યો છે, ‘તેમના મતે અમને તો અહીં લાવી આ પ્રદૂષણ રૂપી ધીમુ ઝેર આપવામાં આવી રહ્યું છે. એના કરતાં તો અમે નરોડા કાંડમાં જ મરી ગયા હોત તો સારૂં થાત.’ જ્યારે કેટલાક સ્થાનિકોના મતે અહીંની ગંદકી અને દુર્ગંધને કારણે અહીં કોઈ પોતાની બહેન-દીકરી પરણાવવા માંગતા નથી. અમારા લગ્ન સમારંભમાં પણ અહીંની દુર્ગંધને કારણે જમણવાર (ભોજન સમારંભ)માં અનેક મહેમાનો આવતા નથી અને જમવાનું વધી પડે છે. આમ અમે તો સાચે જ નર્કાર્ગાર જેવી યાતના ભોગવી રહ્યા છીએ.