(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૮
કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે, ૧૨મી મેએ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ ભાજપને સુધરવા માટેનો પાઠ ભણાવશે અને ઘેરો સંદેશ મોકલશે કે લોકો આરએસએસની દોરવણી હેઠળ ભગવા દળોના કામોને સ્વીકારતા નથી. જ્યારે કોંગ્રેસ પાર્ટી વિકાસની આસપાસ ચૂંટણી તો લડે જ છે પરંતુ સાથે જ ભાજપ-આરએસએસની વિચારધારા વિરૂદ્ધ પણ લડી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતાએ જણાવ્યું કે, ભાજપ-આરએસએસ પોતાના એજન્ડા અમલમાં મુકે છે. ભાજપ અને આરએસએસના સમર્થનવાળી સરકારમાં ખાસ કરીને નબળો વર્ગ, લઘુમતીઓ અને ગરીબ લોકો પોતાને અસલામત હોવાનું અનુભવી રહ્યા છે. કર્ણાટકની ચૂંટણીઓ ફક્ત રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના ઉપલક્ષ્યમાં ઘણી મહત્વની સાબિત થશે. મલ્લિકાર્જુન ખડગેએ આ ઉપરાંત કહ્યું કે, જો ભાજપને કર્ણાટકમાંથી જ રોકવામાં નહીં આવે તો તે ચોક્કસપણે લોકતંત્રનો વિનાશ કરી નાખશે. તેઓ ઘણીવાર બંધારણ બદલવા અને લઘુમતીઓ વિરૂદ્ધ હિંદુઓની વાત કરી ચુક્યા છે. ભાજપની આ તમામ દલીલોને લોકો નહીં સ્વીકારે. ચૂંટણી પહેલાના સર્વેમાં ત્રિશંકુ વિધાનસભાના એંધાણ અંગે તેમણે કહ્યું હતું કે, આવા સર્વે કેટલાક આધારો પર જ કરાયેલા હોય છે તેથી પરિણામમાં ફેર પડી શકે છે. તેમણે કહ્યું કે, કર્ણાટક વિકાસમાં આગળ છે અને કાયદો વ્યવસ્થા, રોકાણ તથા રોજગાર વિકસાવવામાં સૌૈથી આગળ છે તેથી સત્તાધારી કોેંગ્રેસ આ ચૂંટણીઓમાં પણ સૌથી આગળ રહે તેવી સંભાવના છે. ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારે પોતાના વાયદા પુરા કર્યા નથી તેવો આરોપ મુકતા તેમણે સિદ્ધરમૈયા સરકારની ઘણી યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આથી મને નથી લાગતું કે લોકો આ બાબતો ભૂલી જશે. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપે ૩૦થી ૪૦ કેન્દ્રીય મંત્રીઓ અને ૧૦૦થી વધુ વિવિધ રાજ્યોના મંત્રીઓને કર્ણાટરકમાં ચૂંટણી પ્રચારમાં ઉતારી દીધા છે અને આરએસએસ કાર્યકરોને ઘરે-ઘરે છોડી મુક્યા છે, આ જ બાબત દર્શાવે છે કે, ભાજપ કોંગ્રેસથી ડરી ગયો છે.