(એજન્સી) જેરૂસલેમ,તા.ર૭
જેરૂસલેમની એક અદાલતે ૧૪ વર્ષીય પેલેસ્ટીની કિશોર અહમદ માનસરાને સજા ફટકારવા માટેનો ચુકાદો સ્થગિત કરી દીધો હતો કારણ કે ઓક્ટોબરમાં ઈઝરાયેલી વસાહતમાં બે પેલેસ્ટીનીઓને ખંજર હુલાવી ઈજાગ્રસ્ત કરવા બદલ અહમદને ૧ર વર્ષની જેલની સજા ફટકારવાની માંગ વકીલોએ કરી હતી.
તાબા હેઠળના જેરૂસલેમના રહીશ એવા માનસરાને ગત ઓક્ટોબરમાં ખંજર હુમલો કરવા બદલ વર્તમાન વર્ષના મે મહિનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ હુમલો તેણે ૧ર ઓક્ટોબર ર૦૧પના રોજ પૂર્વ જેરૂસલેમમાં આવેલ ગેરકાયદે ઈઝરાયેલી વસાહત વિસ્તાર પિસ્ગાત ઝીવમાં કર્યો હતો અને અનુક્રમે ૧૩ અને ર૧ વર્ષીય બે ઈઝરાયેલીઓ આ હુમલામાં ઘવાયા હતા.
માનસરાના કાકા અહમદ માનસરાએ મા’નને જણાવ્યું હતું કે ઈઝરાયેલી વકીલોએ એવી માંગ કરી હતી કે મારા ભત્રીજાને ૧ર વર્ષની જેલની સજા ફટકારવામાં આવે અને આ સજામાં અગાઉ અહેમદે જેલમાં વીતાવેલ સમયની ગણતરી કરવામાં ન આવે તથા તેને બાળકો માટેના અટકાયત કેન્દ્રમાંથી વયસ્કો માટેની જેલમાં મોકલી આપવામાં આવે. આ ઉપરાંત ઘવાયેલા બે ઈઝરાયેલીઓના પરિવારજનોને આ હુમલાના વળતર તરીકે માનસરાના પરિવારજનો ૪,૮૦,૦૦૦ શેકેલ્સ (૧,ર૩,૩૩૯.પ૦ ડૉલર) પણ ચૂકવી આપે તેવી કથિત માંગ ઈઝરાયેલી વકીલોએ કરી હતી. માનસરા વતી કેસ લડી રહેલ પેલેસ્ટીની પ્રિઝનર્સ કમિટી (પીપીસી)ના વકીલ તારિક બરઘૌથેે એ વાતનું સમર્થન કર્યું હતું કે જેરૂસલેમની જિલ્લા અદાલતના ન્યાયાધીશોએ આ કેસનો ચુકાદો ૩ નવેમ્બરે સંભળાવવાનો નિર્ણય કર્યો છે. માનસરાના કાકાએ જણાવ્યું હતું કે અદાલતના સલામતી રક્ષકોએ માનસરા પરિવારના માત્ર ગણ્યાગાંઠ્યા સભ્યોને જ સુનાવણી વખતે અદાલતી ખંડમાં પ્રવેશવા દીધા હતા અને જેમને પ્રવેશવા દીધા હતા તેમને અહમદ સાથે વાતચીત કરવા સુદ્ધાંની મંજૂરી આપી ન હતી કે બાળકો માટેના અટકાયત કેન્દ્રમાં ફૂટબોલ રમતી વખતે માનસરાના હાથમાં થયેલ ફ્રેકચર સંબંધે તેની ખબર પણ પૂછવા દીધી ન હતી. હુમલા સમયે ૧૩ વર્ષની ઉંમર ધરાવતા માનસરાને ખંજર હુમલા બાદ એક ઈઝરાયેલી કારચાલકે કારની ટક્કર મારતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ચુકાદા સાથે બરઘૌથે અદાલતના ચુકાદાને પડકારવા લાયક ચુકાદો ગણાવતા ઉમેર્યું હતું કે તેઓ અદાલતના ચુકાદા વિરૂદ્ધ અપીલ કરશે. માનસરાની કાનૂની ટુકડીએ જણાવ્યું હતું કે માનસરા ગુનેગાર નથી. બરઘૌથે એવો દાવો કર્યો હતો કે માનસરા કોઈના પર ખંજર હુમલો કરવા માંગતો ન હતો કે કોઈની પણ હત્યા કરવા માંગતો ન હતો. તેની વિરૂદ્ધના આરોપો ઉપજાવી કાઢવામાં આવ્યા છે અને ઘટના સંબંધે બઢાવી ચઢાવીને રજૂઆત કરવામાં આવી રહી છે જેથી કરીને માનસરાનું બચપણ છીનવી શકાય. ફરી એક વખત ઈઝરાયેલી અદાલતે પેલેસ્ટીનીઓ પ્રત્યેનો તેનો રંગભેદી ચહેરો દર્શાવ્યો છે. જ્યારે ઈઝરાયેલીઓ વિરૂદ્ધના ગુનાઓ કરવાના આરોપી પેલેસ્ટીનીઓને પેલેસ્ટીનીઓ વિરૂદ્ધના હુમલા કરનારા ઘૂસણખોરોની સરખામણીમાં સજા કરવાનો સવાલ હોય ત્યારે ઈઝરાયેલી ન્યાયપ્રણાલી બેવડા માપદંડો અપનાવે છે.