(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉત્તેજક હતા અને તેમની ઉત્તેજનાએ નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવ્યા છે. ગુજરાતમાં ૧૯૯૫ની વિધાનસભા ચૂંટણીઓ પછી ભાજપની નેતાગીરી દ્વારા નરેન્દ્ર મોદીને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. તે વખતે મોદીને હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પક્ષની પ્રવૃત્તિઓની જવાબદારી સાથે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ૧૯૯૮માં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાઇ ત્યારે મોદી નવીદિલ્હીમાં હતા પરંતુ ઉમેદવારોની પસંદગીમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ૧૯૯૫ અને ૧૯૯૮માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીએ બનાવેલી ચૂંટણી વ્યૂહરચનાથી વાજપેયી બહુ પ્રભાવિત થયા હતા. સદી બદલાતા તે વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલનું સ્વાસ્થ્ય બગડી રહ્યું હતું અને તેમનું શાસન અસ્થિર થઇ રહ્યું હતું ત્યારે ૨૦૦૧માં પ્રજાસત્તાક દિવસે ગુજરાતમાં વિનાશક ભૂકંપ ત્રાટક્યો હતો અને આ કુદરતી આપત્તિને પહોંચી વળવામાં કેશુભાઇ સરકારને છથી આઠ મહિના લાગી ગયા હતા. ભૂકંપમાં ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા. આ પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીને તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તરફથી એક સંદેશ મળ્યો હતો. મોદીને વડાપ્રધાનના નિવાસસ્થાન ૭, રેસકોર્સ રોડ (હાલમાં૭, લોક કલ્યાણ માર્ગ) પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મોદીને શક્ય હોય એટલા વહેલાં ત્યાં પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. મુંઝાયેલા નરેન્દ્ર મોદી ૭, રેસકોર્સ રોડ પહોંચ્યા હતા અને તેઓ થોડીક રાહત અનુભવે તે પહેલા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ મોદીને કહ્યું કે તમારે તાકીદે દિલ્હી છોડી દેવું જોઇએ અને અહીંથી જતા રહો. મોદીને આઘાત લાગ્યો અને તેમણે પૂછ્યું હું ક્યાં જઉં ? અટલ બિહારી વાજપેયીએ એક જ શબ્દમાં જવાબ આપ્યો ‘ગુજરાત.’ થોડાક દિવસ બાદ કેશુભાઇ પટેલને મુખ્યપ્રધાનપદેથી હટાવી દેવામાં આવ્યા અને તેમના સ્થાને ૨૦૦૧ની ૭મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા અને કેશુભાઇ પટેલને મુખ્યપ્રધાનપદેથી હટાવી દેવામાં આવ્યા. મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાના સાડા ચાર મહિના બાદ ફેબ્રુઆરી ૨૦૦૨માં ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ટ્રેનમાં આવી રહેલા ૫૮ કારસેવકોની હત્યાને પગલે ગુજરાતમાં ભયંકર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. સમગ્ર ગુજરાતના ૨૦૦૨ના કોમી રમખાણોમાં સરકારી આંકડા મુજબ ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિન્દુઓ માર્યા ગયા હતા. જ્યારે સ્વતંત્ર અંદાજ મુજબ માર્યા ગયેલા લગભગ ૨૦૦૦ લોકોમાં મોટાભાગના મુસ્લિમો હતા. આ રમખાણો અંગે પ્રતિક્રિયા આપતા વાજપેયીએ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી.