અમદાવાદ, તા.૧૯
હાથીજણ નજીક આવેલા નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી અને બાળકો ગોંધી રાખવાના વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. આ સમગ્ર વિવાદમાં ડીપીએસની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે આશ્રમ દ્વારા ૭ કિલોમીટર દૂર આવેલી પુષ્પક સિટીમાં ત્રણ મકાનો રાખવામાં આવેલા છે. મોડી રાત્રે આશ્રમમાંથી નીકળીને ભગવા વસ્ત્રો ધારણ કરેલી ૭-૮ યુવતીઓ અને બાળકો પુષ્પક સિટીમાં આવતા અને વહેલી સવારે જતા રહેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેને ડીપીએસની બસ લેવા અને મુકવા માટે આવતી હતી. જેના આજે સીસીટીવી પણ સામે આવી ગયા છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે. બાળકો અને સાધ્વીઓને લેવા અને મુકવા જતી ડીપીએસની બસ ડીપીએસના પાર્કિંગમાં જ છૂપાવેલી છે. સ્થાનિકો મુજબ, આશ્રમથી ૭ કિલો મીટર દૂર આવેલા પુષ્પક સિટીમાં આવેલા બી-૯૫, બી-૧૦૦ અને બી-૧૦૭ નંબરના મકાનોમાં મોડી રાત્રે ક્યારેક ૧૧ વાગ્યે, ૧ વાગ્યે કે ૩ વાગ્યે ગાડીઓમાં સાધ્વીઓ, આશ્રમના લોકો અને કેટલાક બાળકો આવતા હતા. એક મકાનમાં ડીપીએસની બસ બાળકોને લેવા અને મુકવા આવતી હતી.