(એજન્સી) સુરત, તા.૧૪
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે દુનિયાની કોઈ તાકાત સરકારને કાશ્મીર સમસ્યા ઉકેલતા રોકી નહીં શકે. તેમણે પાકિસ્તાનની ભારત સામેની નાપાક પ્રવૃત્તિઓની ઝાટકણી કાઢી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, એનડીએ સરકારે સેનાને આતંકવાદીઓ સામે કાર્યવાહી માટે છૂટા હાથે કામ કરવાની છૂટ આપી છે. તેમજ સરહદ પર થતાં ગોળીબારોનો જડબેસલાક જવાબ આપવા કહ્યું છે. તેમણે કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. દુનિયાની કોઈ તાકાત કાશ્મીર મુદ્દો ઉકેલતા રોકી નહીં શકે. સુરત જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રાના ભાગરૂપે એકઠા થયેલા લોકોને સંબોધતા રાજનાથસિંહે કહ્યું કે, પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદીઓ મોકલે છે અને દેશને તોડવા માંગે છે. પાકિસ્તાન પાડોશી દેશ છે. પાકનો અર્થ પવિત્ર થાય છે. પરંતુ તે નિયમિત નાપાક પ્રવૃત્તિઓ કરે છે. પાકિસ્તાનની મુલાકાતે તમામ ગયો હતો પરંતુ પાકિસ્તાન તેની પ્રવૃત્તિમાં સુધારો કરતું નથી. સફેદ ઝંડાને જોયા વગર બુલેટનો જવાબ આપવા સેનાને સૂચના અપાઈ છે જેથી કાશ્મીરમાં સંખ્યાબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યો હતો. જો જવાહરલાલ નહેરૂએ સરદારને છૂટથી કામ કરવા દીધું હોત તો આપણે કાશ્મીર સમસ્યાનો સામનો કરવો પડતો નહીં. સરદાર પટેલે જુનાગઢ અને હૈદરાબાદ મેળવી રાખ્યું હતું પરંતુ કાશ્મીર મુદ્દે જવાહરલાલ નહેરૂએ કોઈ નિર્ણય લેવાની સરદારને છૂટ આપી હોત તો આજે કાશ્મીર સમસ્યાનો સામનો કરવો ન પડતો. ભાજપે ચૂંટણી પહેલાં ગૌરવ યાત્રા યોજી વ્યાપક જનસમર્થન માટે પ્રયાસો શરૂ કર્યા છે. જે યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ રેલીઓને સંબોધી રહ્યા છે.