National

ગઠબંધન સમાપ્ત ? માયાવતીએ કહ્યુંઃ પેટા ચૂંટણીમાં એકલા હાથે લડશે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
ઉત્તરપ્રદેશમાં પ્રતિસ્પર્ધીઓમાંથી પાર્ટનર બનેલા માયાવતી અને અખિલેશ યાદવના ગઠબંધનનો અંત આવ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. આ અંગેના સંકેત માયાવતીએ પોતાની પાર્ટીની બેઠકમાં આપ્યા હતા. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ સોમવારે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીઓમાં યાદવોના મતો બીએસપીમાં ટ્રાન્સફર ના થયા તેથી બીએસપી હવે ઉત્તરપ્રદેશમાં ૧૧ બેઠકો પર થનારી લોકસભા પેટા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. આનો અર્થ એ થયો કે, ત્રણ વખત મુખ્યમંત્રી બનેલા માયાવતી પેટાચૂંટણીઓમાં ભાગ નહીં લેવાની નીતિ બદલી રહ્યા છે. માયાવતીએ જ્યારે આ અંગેના સંકેત આપ્યા ત્યારે અખિલેશ યાદવ આઝમગઢમાં હતા અને એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.માયાવતીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમાજવાદી પાર્ટીમાં એ બાબતની સમીક્ષા થઇ રહી છે કે, બીએસપી સાથે ગઠબંધન કરતા કેટલો ફાયદો થયો અને કેટલું નુકસાન થયું છે. માયાવતીએ બેઠકમાં જણાવ્યું હતું કે, ગઠબંધન બેકાર સાબિત થયું છે. યાદવોના મતો અમારા ખાતામાં ટ્રાન્સફર ના થયા પણ તેમના ખાતામાં થયા. સમાજવાદી પાર્ટી એવા સ્થળોએ જ જીતી છે જ્યાં મુસ્લિમોએ ભારે મતદાન કર્યું છે. એટલે સુધી કે અખિલેશ યાદવનો પરિવાર પણ યાદવોના મતો જીતી ના શક્યો. હવે કોઇપણ કાળે ગઠબંધનમાં રહેવા માગતા નથી તેવા સંકેત આપતા માયાવતીએ ૧૯૯૫ના યુપી ગેસ્ટ હાઉસનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો જ્યારે સપાના કાર્યકરો દ્વારા અપમાન થયા બાદ મુલાયમ સિંહ સાથે માયાવતીએ ગઠબંધન તોડ્યું હતું અને ભાજપમાં સામેલ થયા હતા. અહીં તેમણે એવું પણ કહ્યું કે, આ ભૂલાય તેમ નથી પણ તેઓ દેશના ભલા માટે ગઠબંધન કરવા ભૂતકાળ ભૂલી જવા માગે છે અને અખિલેશ બાળક હતા. ચૂંટણીઓ પહેલા પણ તેઓ સતત કહેતા રહ્યા હતા કે, ગેસ્ટ હાઉસ પ્રકરણ ભૂલાય તેમ નથી. પણ તેઓ લડાઇને પાછળ છોડવા માગતા હતા. ગયા વર્ષે બંને પાર્ટીએ ગઠબંધન કરીને ભાજપ પાસેથી પેટા ચૂંટણીઓમાં ત્રણ બેઠકો જીતી લીધી હતી. જોકે, માયાવતીએ ઉમેર્યું કે, ગઠબંધન વિના પણ અખિલેશ યાદવ સાથેના તેમના સંબંધો જળવાઇ રહેશે કારણ કે, તેઓ તેમના પિતા મુલાયમસિંહ જેવા નથી. તેમના મતે અખિલેશ યાદવના નારાજ કાકા શિવપાલ યાદવ અને કોંગ્રેસ બંનેએ યાદવ મતો કાપી નાખ્યા હતા. એટલે સુધી કે અખિલેશ યાદવ પોતાની પત્ની ડિમ્પલ યાદવને પણ જીતાડી શક્યા ન હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.