(એજન્સી) ગાઝિયાબાદ,તા.૩૦
ગાઝિયાબાદના લોની વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ૬ લોકોના મોત થયા. મૃતકોમાં ૫ બાળકો સામેલ છે. પ્રાથમિક જાણકારી મુજબ રૂમમાં રાખેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આ આગ સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ. જેના કારણે ઘરમાં સૂઈ રહેલા ૫ બાળકો સહિત ૬ લોકોના મોત થયાં. આ લોકોના મોત આગ લાગવાથી થયા કે પછી દમ ઘૂટી જવાથી તે અંગેની માહિતી હજુ મળી શકી નથી. આ ઘટના ગાઝિયાબાદના લોની બોર્ડર વિસ્તારમાં ઘટી. લોનીના બેહટા હાજીપુર મૌલાના આઝાદ કોલોનીમાં લાગેલી આ આગમાં ૬ લોકોએ જીવ ગુમાવ્યાં. એવું કહેવાય છે કે મૃતકો એક જ પરિવારના છે અને આ આગ શોટ સર્કિટના કારણે લાગી. મૃતકોમાં પરવીન ૪૦ વર્ષ (યૂસુફ અલીની પત્ની), પુત્રી ફાતમા (૧૨ વર્ષ), સાહિમા (૧૦ વર્ષ), રતિયા (૮ વર્ષ), અબ્દુલ (૮ વર્ષ), અઝીમ ( ૮ વર્ષ), અહદ (૫ વર્ષ) સામેલ છે. વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. નોંધનીય છે કે દિલ્હી એનસીઆરમાં પણ શોર્ટ સર્કિટના કારણે અનેક એવી ઘટનાઓ ઘટી જેમાં લોકોએ જીવ ગુમાવવો પડ્યો. દિલ્હીની અનાજમંડીમાં લાગેલી આગમાં ૪૭ લોકોએ જીવ ગુમાવ્યાં જેમા મોટાભાગના લોકોએ દમ ઘૂટવાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. દિલ્હીના શાલીમાર બાગમાં પણ એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ૩ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો.
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટથી આગ : એક જ પરિવારના પાંચ બાળકો સહિત છનાં મોત

Recent Comments