નવી દિલ્હી,તા.૧૯
પુલવામા હુમલા બાદ પૂર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે.સિંહે કાશ્મીર મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે સવાલ કર્યો કે કાશ્મીરમાં વર્ષ ર૦૦પ-ર૦૧રના સમયગાળા દરમિયાન સંપૂર્ણ શાંતિ હતી તો પછી વર્ષ ર૦૧ર પછીની ઘટનાઓમાં વૃદ્ધિ થવાનું શું કારણ છે ? એવું તે શું બની ગયું ? શું આ અંગે વિશ્લેષણ થયું છે ? જનરલ સિંહે તેમનું મંતવ્ય જણાવતા કહ્યું કે, કાશ્મીરમાં કેટલાક યુવાઓ વાહનો પર ઉભા થઈ જોરશોરથી ‘આઝાદી’ના સૂત્રોચ્ચાર કરે છે. આઝાદી મેળવવા પથ્થરમારો કરવા બદલ કેટલાક યુવાઓને તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. એમણે કહ્યું કે આઝાદી એ કાશ્મીરના સમગ્ર યુવાઓની ભાવનાને દર્શાવે છે. તેમને લક્ષિત કરીને ત્યાં મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગળ એથીય વધુ પગલા લેવામાં આવી શકે છે. કાશ્મીર મુદ્દે વી.કે. સિંહના નિવેદનને યુપીએ સરકાર સાથે જોડી દઈને જોવામાં આવી રહી છે કારણ કે, કાશ્મીરમાં ર૦૦પથી ર૦૧રમાં કોંગ્રેસ ગઠબંધનની યુપીએ સરકાર હતી. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને પીડીપીના ગઠબંધન અંગે વીકેસિંહે જણાવ્યું કે એક પાર્ટીને ઘાટીમાં અને બીજી પાર્ટીને જમ્મુમાં વધુ સમર્થન મળ્યા બાદ ગઠબંધન સરકાર રચાઈ તેમણે કહ્યું કે, પૂર્વનીતિઓનું વિશ્લેષણ કરવા પર ભાર મૂક્યો હતો અને શું આ નીતિઓ સમગ્રપણે નિષ્ફળ હતી ? કે પછી કેટલીક ભૂલોને પ્રોત્સાહન આપવામાં આવ્યું ? તેવો સવાલ ઉભો કર્યો હતો.