નવી દિલ્હી, તા. ૧૦
ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે, જીએસટીની સૌથી વધુ ટેક્સ અંતર્ગત અત્યારસુધી આવનારી ૨૨૦ વસ્તુઓમાંથી હવે ૫૦ વસ્તુઓ પર જ આ દર લાગુ થશે અને બાકીની વસ્તુઓને ઓછા સ્લેબવાળી વસ્તુઓમાં નાખી દેવામાં આવી છે. વાસ્તવમાં વેપારીઓ તથા નાના ઉદ્યોગકારોની ફરિયાદ હતી કે, આ વર્ષે પહેલી જુલાઇથી લાગુ કરાયેલા નવા રાષ્ટ્રવ્યાપી ટેક્સને કારણે તેમના ટેક્સમાં વધારે નાણા ભરવા પડે છે અને વહીવટી ખર્ચ પણ વધી જાય છે જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. જીએસટી કાઉન્સિલમાં જીએસટી નેટવર્કના પ્રમુખ સુશીલ મોદીએ જણાવ્યું હતું કે, દરરોજ ઉપયોગમાં લેવાતા શેમ્પુ, ડિયોડરન્ટ, ટૂથપેસ્ટ, શેવિંગ ક્રીમ, આફ્ટરશેવ, લોશન, બૂટની પોલિશ, ચોકલેટ, ચ્યુંઇંગમ તથા પોષક પીણા જેવી વસ્તુઓ હવે સસ્તી થઇ જશે.
૨. જીએસટી કાઉન્સિલની ૨૩મી બેઠકમાં એવી દરખાસ્તો પર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે જે આસામના નાણામંત્રી હિમાંતા વિશ્વકર્માના નેતૃત્વવાળી એક પેનલે કરી છે. એરકન્ડીશન્ડ રેસ્ટોરન્ટોમાં પીરસાતા ભોજન પર પણ જીએસટી ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કરવાનો નિર્ણય આ જ બેઠકમાં કરવામાં આવી શકે છે.
૩. કાઉન્સિલે દરેક મહિને ત્રણ ઇન્કમટેક્સ ભરવાના નિયમ પર પણ વિચારણા કરી રહી છે જેમાં ઘણા ટેક્સપેયરો મૈત્રીભર્યા માહોલમાં ટેક્સ ભરી શકે.
૪. નાણા મંત્રી અરૂણ જેટલીએ આ સપ્તાહમાં સંકેત આપ્યો હતો કે, ૨૮ ટકા સ્લેબમાંથી કેટલીક વસ્તુઓને હટાવી શકાય. તેમણે એટલે સુધી કહ્યુ હતુ કે, કેટલીક વસ્તુઓને આ સ્લેબમાં રાખવામાં આવે તેમ નહોતું. અમે ધીમે ધીમે તેને નીચલા સ્લેબ પર લાવી રહ્યા છીએ. અમારૂસ માનવું છે કે, જ્યારે તમારી કમાણી બેઅસર થવાલાગે ત્યારે આપણે તેમાં કાપકૂપી કરવી જોઇએ. આ રીત પર અત્યારસુધી કાઉન્સિલ ચાલી રહી છે. જ્યાં સુધી કાઉન્સિલનો સવાલ છે તો હું તેને ગાઇડલાઇન પણ માનંું છું.
૫. જ્યારે ૧લી જુલાઇએ નવી કર વ્યવસ્થા લાગુ થઇ હતી તે જ સમયથી જીએસટી કાઉન્સિલની બેઠક દર મહિને થતી રહી છે. અને અત્યારસુધી ૧૦૦થી વધુ વખત ટેક્સના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જીએસટી અંતર્ગત વસ્તુઓ અને સેવાઓ પર ચાર અલગ સ્લેબમાં ૫-૧૨,૧૮ તથા ૨૮ ટકાના હિસાબે લગાવવામાં આવતો હતો.
૬. આજની જીએસટી બેઠક બાદ સરકાર દ્વારા જીએસટી લાગુ કરવાની ઘણી ટીકાઓ થિ રહી છે. આઝાદી બાદથી સૌથી મોટા કર સુધારાના રૂપમાં પ્રચારિત કરાયેલા જીએસટીને લઇ વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, આને લાગુ કરવાના સમય અને રીતને કારણે નાના વેપારીઓ તથા વ્યવસાયીઓની કમર તૂટી ગઇ છે.
૭. પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી, પંજાબના નામા મંત્રી મનપ્રીતસિંહ બાદલ તથા કર્ણાટકના કૃષિમંત્રી કૃષ્ણબાયરે ગૌડા સહિત કોંગ્રેસના નેતાઓએ ગુવાહાટીની એ હોટેલ બહાર વિરોધ કર્યો હતો જ્યાં જીએસટી કાઉન્સિલની બેઠક ચાલી રહી હતી. તેમણે આરોપ પણ લગાવ્યો હતો કે, ફક્ત પાંચ રાજ્યોને છોડીને બાકીના તમામ રાજ્યોમાં જીએસટી શરૂ કરતા તેમને મહેસૂલી આવકમાં નુકસાન થયું છે.
૮. કોંગ્રેસે ભાજપના નેતૃત્વવાળી સરકાર પર તેમની ચેતવણીને અવગણવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, સરકાર હવે સમીક્ષા માટે ફક્ત એ માટે તૈયાર થઇ છે કે, આગામી મહિને ગુજરાતમાં મહત્વની વિધાનસભા ચૂંટણી આવી રહી છે જ્યાં નાના વેપારીઓ નવી ટેક્સ વ્યવસ્થાથી નારાજ છે.
૯. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમા ધમાકેદાર અભિયાન અંતર્ગત જીએસટીને ‘ગબ્બરસિંહ ટેક્સ’ ગણાવ્યું હતુ અને રાજ્યના વેપારીઓને અપીલ કરી હતી કે, તેઓ આ ચૂંટણીમાં ભાજપને રદીયો આપે જે પાછલા ૨૨ વર્ષથી રાજ્યમાં સત્તા પર છે. તેમણે નોટબંધી અને જીએસટીને બે તોફાન ગણાવ્યા હતા જેણે અર્થવ્યવસ્થાને નષ્ટ કરી નાખી છે.
૧૦.બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ચૂંટણીમાં પોતાની રેલીઓમાં નોટબંધી અને જીએસટીથી થનારા લાંબાગાળાના ફાયદા પર ભાર મુક્યો છે અને કહ્યું છે કે, હાલ જે લોકો આ પગલાનો વિરોધ કરી રહ્યા છે તેઓભ્રષ્ટાચાર વિરોધી લડાઇને નબળી પાડી રહ્યા છે.

કઈ ચીજ સસ્તી અને કઈ હજુ મોંઘી રહેશે
જીએસટી કાઉન્સિલની બેઠકમાં આજે ચોકલેટથી લઇને ડિટર્જેન્ટ સુધી ૧૭૭ વસ્તુઓ ઉપર ટેક્સ રેટ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાનો નિર્ણય કરાયો હતો. બેઠક બાદ ૧૮ ટકા ટેક્સ સ્લેબમાં આવી ગયેલી ચીજ સસ્તી થઇ છે જે અગાઉ ૨૮ ટકામાં હતી. કઇ ચીજ સસ્તી થઇ અને મોંઘી થઇ તે નીચે મુજબ છે.
કઈ ચીજ સસ્તી (હવે ૧૮ ટકાના સ્લેબમાં)
સેનેટરી, શૂટકેશ, વોલપેપર્સ, પ્લાયવુડ, સ્ટેશનરી, આર્ટિકલ્સ, ઘડિયાળો, પ્લેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ, આફ્ટર શેવ, ડિયો, વોશિંગ પાઉડર, ગ્રેનાઇટ, મારબલ, સાબુ, શેમ્પૂ, સ્કીનકેર, કેમેરાઓ, શોપિંગ બેગ, ચિંગમ, ચોકલેટ
કઈ ચીજ મોંઘી (૨૮ ટકાના જ સ્લેબમાં રહી)
સિમેન્ટ, વોશિંગ મશીન, ફ્રિઝ, તમાકૂ જેવી ચીજવસ્તુઓ, રંગરોગાણ, એરકન્ડીશનર, લકઝરી ચીજો

મ.પ્ર.ના ભાજપી મંત્રી કહે છે હું હજી સુધી GST સમજી શક્યો નથી, ખુદ CA અને બિઝનેસમેનને પણ મુશ્કેલી પડી રહી છે

ભાજપના મધ્યપ્રદેશના મંત્રી ઓમપ્રકાશ ધ્રુવે જ્યારે કહ્યું કે, તેઓ નવા કરમાળખા જીએસટીને સમજવામાં આસમર્થ છે ત્યારે સભામાં હાસ્ય ફૂટી નીકળ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યંુ હતું કે, આ કરમાળખું પ્રોફેશનલો જ સમજી શકે છે. ભાજપના મંત્રી એવીસભાને સંબોધી રહ્યા હતા જે કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષે કરાયેલી નોટબંધીની ઉજવણી માટે રખાયો હતો જ્યારે આ પ્રસંગે જીએસટીની પણ પ્રશંસા કરવાની હતી. આ ઉપરાંત જીએસટી અંગેના સુધારા અંગે પણ લોકોને સમજાવવાના હતા. જોકે, ધ્રુવે પોતે જણાવ્યંુ હતુ કે, તેઓ પોતે જીએસટીની ગૂંચવણને સમજી શકતા નથી તેથી તેઓ આ અંગે કાંઇ બોલવા માગતા નથી.તેમણે એમ પણ કહ્યું કે આને મોટા એકાઉન્ટન્ટો સમજી શકતા નથી તો મને ક્યાંથી સમજણ પડે. આ સમજવાની બાબત છે એકવાર તેને કરવા લાગો તો બાદમાં સમજણ પડતી જાય. કેન્દ્રની સરકાર દ્વારા જીએસટી લાગુ કરાયા બાદથી વિપક્ષોએ ભારે વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે, જીએસટી લાગુ કરવાનો સમય ખોટો છે અને તેની ટેક્સ મર્યાદા પણ ખોટી છે.

યશવંત સિંહાની જેટલીને હાંકી કાઢવા મોદીને સલાહ

પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ આજે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇપણ મગજ દોડાવ્યા વિના જીએસટી લાગુ કરનારા નાણા પ્રધાન અરૂણ જેટલીને તેમના પદેથી હાંકી કાઢવા સલાહ આપી હતી. વાજપેયી સરકારમાં નાણાપ્રધાન રહેલા સિંહાએ અરૂણ જેટલીનું રાજીનામું માગ્યું હતું. તાજેતરમાં જ તેમણે અર્થવ્યવસ્થાની બગડતી જતી સ્થિતિ માટે મોદી સરકારની આકરી ટીકા કરી હતી. સિંહા સત્તાધારી પાર્ટી જેડીયુના બળવાખોર નેતા ઉદય નારાયણ ચૌધરી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. દરમિયાન તેમણે જેટલીની ટીપ્પણીનો જવાબ પણ આપ્યો હતો જેમાં તેમને ૮૦ વર્ષની ઉંમરમાં નોકરી શોધવા નીકળેલા ગણાવ્યા હતા. યશવંત સિંહાએજણાવ્યું હતુ કે,જે લોકો મને કહે છે કે, હું ૮૦ની ઉંમરમા નોકરી શોધી રહ્યો છું ેતેમને જણાવી દઉં કે, મેં સંસદમાં બેસીને ક્યારેય બજેટ રજૂ કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, અરૂણ જેટલીએ એક વાર કમરના દુઃખાવાને કારણે અધનવચ્ચે સંસદમાં બેસીને બજેટ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, જીએસટી કાઉન્સિલે ફક્ત ૫૦ વસ્તુઓને ૨૮ ટકાના દાયરામાં રાખવાનું નક્કી કર્યું છે. સિંહો જીએસટી લાગુ કરવામાં ઉતાવળ દેખાડવાનું જણાવતા કહ્યું કે, જેટલીએ મગજનો ઉપયોગ કર્યો જ નથી અને જો મગજ દોડાવ્યું હોત તો જીએસટી માળખામાં આટલી જલ્દી ફેરફાર કરવાની જરૂર જ પડી ન હોત. આનો અર્થ એ થયો કે, સિસ્ટમ કામ નથી કરતી.