અમદાવાદ, તા.૨૧
બિનનિવાસી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વિદેશમાં કે અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓ રાજ્યના વિકાસમાં સહભાગી બને અને તેમના પ્રશ્નો-સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કાર્ડ યોજના થકી ‘‘ગુજરાત કાર્ડ’’ આપવામાં આવે છે. આ કાર્ડ બિન નિવાસી ગુજરાતીઓ વિદેશમાં ઘેર બેઠા બેઠા મેળવી શકે તે માટે ઓન લાઇન સુવિધા રાજ્ય સરકારે ઉપલબ્ધ બનાવી છે. જેમાં NRI પોતે કે તેમના વતી કોઇ વ્યક્તિ ફોર્મ ભરીને ઓનલાઇન અરજીની સુવિધાથી કાર્ડ મેળવી શકશે. આજના ટેકનોલોજીના યુગમાં તમામ સુવિધાઓ ઘરે બેઠા ઓનલાઇન મળી રહી છે. NRI માટે ગુજરાત કાર્ડ મેળવવા ઓનલાઇન એપ્લીકેશન શરૂ કરી છે. NRGFની www.nri.gujarat.gov.in વેબસાઇટમાં ઓનલાઇન ફોર્મ ભરવાની તથા જરૂરી દસ્તાવેજો જોડવાની સુવિધા ઉભી કરી છે. સાથે સાથે પેમેન્ટ ગેટ વે દ્વારા ઓનલાઇન ફી ભરી શકાશે. મંત્રીએ ઉમેર્યુ કે, બિન નિવાસી ગુજરાતીઓને પોતાની ગુજરાતી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા પોતાના જ્ઞાન કૌશલ્ય અને નાણાકીય સ્ત્રોતનો ગુજરાત કાર્ડ અપાય છે. બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા અત્યાર સુધીમાં ૨૦૯૭૫ જેટલા ગુજરાત કાર્ડ ઇસ્યુ કરાયા છે જેમાં ૨૦૩૩ દ્ગઇૈં ગુજરાત કાર્ડ તથા ૧૮૯૭૨ દ્ગઇય્ ગુજરાત કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં બેંકીંગ અને નાણાકીય ક્ષેત્ર, બુક્સ અને સામયિક ક્ષેત્ર, ફુડ, હોટલ અને આતિથ્ય સત્કાર ,જેમ્સ એન્ડ જ્વેલરી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ, હોસ્પિટલ અને હેલ્થકેર, કાયદાકીય ક્ષેત્ર, રીયલ એસ્ટેટ, શો રૂમ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જેવા ક્ષેત્રોમાં ૬૧૨ જેટલી સંસ્થાઓ જોડાયેલ છે જેમાં ગુજરાત કાર્ડ ધરાવતા બિનનિવાસી ગુજરાતીઓ નક્કી થયા મુજબનું નિયત વળતર પણ મેળવી શકે છે. ઉપરાંત કાર્ડ ધારકને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની સ્થાનિક સરકારી કચેરીઓમાં પડતા વહીવટી કાર્યોમાં પ્રાધાન્ય પણ આપવામાં આવે છે.