(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૧
પાલનપુરના રામલીલા મેદાન ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણી સભા સંબોધી હતી. પાલનપુર ખાતે યુપીના સીએમ યોગીએ ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. દેશ અને દુનિયામાં જ્યારે ગુજરાતનું વિકાસ મોડલ ગૂંજતું રહ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ વિકાસને પાગલ કહી ગુજરાતીઓના પુરૂષાર્થનું અપમાન કર્યું હોવાનું યોગીએ જણાવ્યું હતું. ગુજરાતે રાહુલ ગાંધીને મંદિરમાં જવાનું તો શીખવાડી દીધું છે પણ મંદિરમાં તેઓને બેસતા પણ આવડતું નથી. તેઓ મંદિરમાં પણ મસ્જિદમાં બેસતા હોય તેમ બેસે છે. ચૂંટણી સભાઓમાં હવે ફેકોલોજીની મોસમ ઉઘડી છે. પ્રજાની યાદદાસ્ત કમજોર હોય તેમ ચૂંટણી સભામાં નેતાઓ પણ ફેકમફેક કરતા જોવા મળી રહ્યા છે. આજે સીએમ યોગીએ પણ બનાસકાંઠામાં પૂર ટાણે રાહુલ ગાંધી ફરક્યા પણ ન હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ સભાસ્થળે જ કેટલાક લોકોએ રાહુલ ગાંધી પૂર ટાણે ધાનેરા આવ્યા હતા ત્યારે તેમના પર પથ્થરમારો થયો હોવાની ઘટનાને વાગોળતા સીએમ યોગીએ જૂઠ્ઠાણું ચલાવ્યું હોવાનું જણાવ્યું હતું. આમ, ચૂંટણી ટાણે ફેકમફેક કરી પ્રજાને ભરમાવવા માટે ધડ માથા વગરના નિવેદનો કરી રહ્યા હોવાનું લોકો પણ જાણી ગયા છે.