(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૧૧
રાજ્યની એન્જિનિયરીંગ કોલેજામાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (ગુજકેટ) ફરજિયાત બનાવાઈ છે. ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ માર્ચના અંતે પરીક્ષા જાહેર કરી હતી. ત્યારબાદ ૪-૪-૨૦૧૯ની નવી તારીખ આપવામાં આવી હતી. આ તારીખ દરમિયાન સીબીએસઈ બોર્ડ પરીક્ષા આવતી હોવાથી ગુજકેટની પરીક્ષા ૨૩/૪/૨૦૧૯ ના રોજ લેવાનું જાહર થયું હતું. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી, અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેના આશરે ૧.૩૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોેંધાયા હતા. ગતરોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી. ગુજરાતમાં તમામ ૨૬ લોકસભા બેઠકો માટે એક જ સાથે ૨૩/૪/૨૦૧૯માં રોજ મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા એક વખત ગુજકેટની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. હવે ૨૩ના બદલે ૨૬/૪/૨૦૧૯ શુક્રવારના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર હોવાનું જાણવા મળતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આચાર્યોએ નોંધ લેવી.