(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
ખેતી અને ખેડૂતો પર નોટબંધીની અસર અંગે કૃષિ મંત્રાલયે અગાઉ જાહેર કરેલા અભિપ્રાયને હવે બદલી નાંખ્યા છે. હવે કૃષિ મંત્રાલયે કહ્યું છે કે નોટબંધીની ખેતી સેક્ટર પર સારી અસર પડી. તેમજ બીજનું વેચાણ વધ્યું. ખાતરનું વેચાણ પણ વધ્યું. ર૦૧૬માં રવિનું ઉત્પાદન પણ વધ્યું. સૂત્રોના કહેવા અનુસાર મંત્રાલયે સ્થાઈ સમિતિને સુચિત કર્યું છે કે ડેટા તૈયાર કરવામાં ભૂલના કારણે પહેલી યાદીમાં ગરબડ થઈ હતી. ઉલ્લેખનીય છે કે પહેલી જાહેરાતમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે, નોટબંધીના કારણે ખેતી સેક્ટરમાં રોકડની કમીથી ઘણાં ખેડૂતો બીજ અને ખાતર ખરીદી શક્યા નહીં. કૃષિ મંત્રાલયે નાણાકીય સમિતિની સામે એ વાત માની હતી કે નોટબંધીની ખેડૂતો પર ખરાબ અસર પડી અને ગ્રામીણ ભારતમાં હતાશાની હાલત પેદા થઈ. રવિ પાક ઓછો થયો. હવે કૃષિ મંત્રાલયે યુ-ટર્ન લઈ નવી જાહેરાત કરી નોટબંધીથી કૃષિ ક્ષેત્રે ફાયદો થયો હોવાનું જણાવ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી નોટબંધીથી ખેડૂતોની બરબાદી થઈ હોવાનું જણાવ્યું હતું. હવે કૃષિ મંત્રાલય પણ કહે છે. ત્યારબાદ કૃષિ મંત્રી રાધામોહનસિંહે આ ખબરોને રદિયો આપી કહ્યું કે, નોટબંધીથી ખેડૂતોને નુકસાન થયું હોવાના અહેવાલો ખોટા છે.