વાંકાનેર, તા.ર૦
વાંકાનેરના મોટા ભાગના ખેડૂતોને પાક વીમો ન મળતા ધારાભસભ્ય પીરઝાદાના માર્ગદર્શન હેઠળ ખેડૂતોએ હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ભારતભરના ખેડૂતોનો પાક વીમો લેવાની યોજના અમલમાં છે જે અંતર્ગત સરકાર દ્વારા પાક ધિરાણ લેતી બેંકો મારફત લગભગ ફરજિયાતપણે ખેડૂતો પાસેથી પ્રિમિયમ વસુલવામાં આવેલ છે પરંતુ મોટાભાગના ખેડૂતોને પાક નિષ્ફળ જવા અથવા ઓછો પાક થયો હોવા છતાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વર્ષ-ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮ના વીમાની રકમ મળેલ નથી.
વાંકાનેર વિસ્તારમાં વર્ષ ર૦૧૬-૧૭માં એકપણ ખેડૂત ખાતેદારને વીમાની રકમ મળેલ નથી તેમજ વર્ષ ર૦૧૭-૧૮માં ફક્ત ૧ર ગામોના ખેડૂતોને નહીવત ટકાવારીએ પાક વીમાની રકમ મળેલ છે.
વર્ષ ર૦૧૭-૧૮માં અતિવૃષ્ટિ થતા ખેડૂતોના પાક બળી ગયો હતો. જેનો સરકાર દ્વારા સર્વે કરાયા બાદ તેના વળતર પણ અપાયા હતા તેવા ખાતેદારોને પણ વીમાની રકમ મળેલ નથી. ઉપરાંત જે પાક બચેલ હતો તે પાકમાં ગુલાબી ઈયળનો રોગ આવતા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ હતો તથા પાસ પાસેના ખેતરો હોવા છતાં ફક્ત ગામ બદલાઈ જવાથી એક ખેડૂતને વીમાની રકમ મળી છે જ્યારે બાજુમા જ બીજા ખેડૂતને વીમાની રકમ મળેલ નથી જેવી અનેક અન્યાયકારી વિસંગતતાઓના કારણે આ યોજનાનો લાભ વીમા પ્રિમીયમ ચુકવવા છતા વાંકાનેરના ખેડૂતોને મળી શકેલ નથી.
વાંકાનેરના ખેડૂતોને થયેલા અન્યાય વિરૂદ્ધ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના ખેડૂત આગેવાનો અને સહકારી મંડળીઓના પ્રમુખોએ સમિતિ બનાવીને વાંકાનેરના ખેડૂત ખાતેદારો હુસેન મામદ કડીવાર, રસુલ અલી માથકિયા, અલાવદી રસુલ શેરસિયા, સુલતાન અબ્દુલ બાદી અને અયુબ આહમદ ચૌધરીના નામે ગુજરાત હાઈકોર્ટમાં ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર અને વીમા યોજના સંકલન સમિતિ વિરૂદ્ધ રીટ પીટીશન (પી.આઈ.એલ.) દાખલ કરેલ છે. જેમાં વાંકાનેર તાલુકાના ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ન્યાય મળે તેવી માગણી કરેલ છે. તેવું એક યાદીમાં વાંકાનેર માર્કેટયાર્ડના ડીરેક્ટર શકીલ પીરઝાદા (એડવોકેટ) જણાવે છે.