અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં વરસાદી માહોલ જામી ગયો છે અને છેલ્લા થોડા દિવસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી ચૂક્યો છે. ત્યારે ગુજરાતના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા પ્રાપ્ત થયેલા અહેવાલો અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ૨૦ જળાશયોને હાઈ એલર્ટ, ૬ જળાશયોને એલર્ટ, તેમજ ૧૧ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું કંકાવટી, પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી, માલણ અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, હિરણ-૧ અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ અને અંબાજળ, પોરબંદરનું અમીરપુર, તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી એમ કુલ ૨૦ જળાશયો હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજયના કુલ ૬ જળાશયોને એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૧ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૨,૯૮૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૮૦ ટકા છે. જયારે રાજયના કુલ ૨૦૪ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૩,૨૯,૫૪૪ એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૦૦ ટકા છે.