(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ,તા.૧૯
સાબરકાંઠાના પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને ડાંગરનો પોષાણક્ષમ ભાવના મળતા હરાજી બંધ કરાવી હતી. ત્યારબાદ હોબાળો કરી નેશનલ હાઇવે આઠ બોલ્ક કર્યો હતો.
ચોમાસામાં કુદરતના માર બાદ હવે વેપારીઓ અને તંત્રના વાંકે ખેડૂતોની હાલત કફોડી બની છે. પ્રારંભમાં અતિવૃષ્ટિ બાદ કમોસમી વરસાદ પડતા તૈયાર થયેલ ડાંગરના પાકના પોષણક્ષમ ભાવના મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ સરકાર દ્વારા ટેકાનો ભાવ-૩૬૩ રૂપિયા જાહેર કરી, ડાંગરની ખરીદી કરવાનું જણાવવામાં આવ્યું છે. તેમ છતાં વેપારીઓ દ્વારા તે ભાવે ખરીદી કરવામાં આવતી નથી અને ૨૪૦થી ૨૮૦ સુધીમાં પ્રાંતિજ માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા ડાંગરની ખરીદી થતાં ખેડૂતો એ હરાજી બંધ કરાવી હતી. ઉશ્કેરાયેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવના મળતા સૌ ખેડૂતો મારકેટ યાર્ડ બહાર દોડી આવ્યા હતા. નેશનલ હાઇવે આઠ ઉપર ટ્રેકટરો આડા મુકી દેતાં હાઇવેનો વાહનવ્યવહાર અટકાવી દીધો હતો. જેથી વાહનોની લાંબી-લાંબી લાઇનો લાગી હતી. જેની જાણ થતાં પ્રાંતિજ પી.આઈ. એમ.ડી. ચંપાવત પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતાં અને ખેડૂતોને સમજાવીને નેશનલ હાઇવે આઠ ખુલ્લો કર્યો હતો.
તો બીજી તરફ એકપણ દિવસ સહકારી-સરકારી પ્રતિનિધિ અહીં ડોકિયુ કરવા પણ આવ્યા ના હોવાનું ખેડૂતો તથા વેપારીઓ જણાવી રહ્યાં છે. માવઠાને લીધે માલ સારો ના હોવાનું ગાણું ગાઇને વેપારીઓ ઉચો ભાવ આપતા નથી ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો આંદોલન કરવાના મુડમાં છે પ્રશ્નએ છે કે, શું ખેડૂતોને પોષણ ભાવ મળશે ખરો ? કે પછી કાયમની જેમ શોષણના ભોગ જ બનતા રહેવું પડશે.