અમદાવાદ, તા.૧૨
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના આગામી ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદ આવવાના છે. મોટાભાગે તેઓ ૨૪ ફેબ્રુઆરીએ સીધા લેન્ડ જ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થશે. અમદાવાદમાં રોકાણ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વસ્ત્રાપુર સ્થિત હોટેલ હયાતમાં ઉતરશે એ લગભગ નક્કી છે. અગાઉ ચીનના પ્રમુખ શી જિનપિંગ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ પણ વસ્ત્રાપુરની હયાત હોટેલમાં જ રોકાયા હતા. હોટેલ હયાત દ્વારા પણ આ રોકાણ અંગેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. વસ્ત્રાપુર સ્થિત હયાત હોટેલની બુકિંગ સાઈટ પર ૨૨થી ૨૬ ફેબ્રુઆરી સુધીનું ઓનલાઈન બુકિંગ બંધ કરી દેવાયું છે. આમ, હયાત હોટેલમાં ૨૨ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી એક પણ રૂમ ઉપલબ્ધ નથી તેવું તેની વેબસાઈટ પર દર્શાવાય છે. હયાત હોટેલ અને હયાત રિજન્સી એમ બંને હોટેલમાં ૨૨થી ૨૬ ફેબ્રુઆરી સુધી એક પણ રૂમ ઉપલબ્ધ નથી. આમ, પ્રમુખ ટ્રમ્પ વસ્ત્રાપુર હયાતમાં અને તેમના રસાલાના અન્ય ઉચ્ચાધિકારીઓને તથા મીડિયા કર્મચારીઓને હયાત રિજેન્સીમાં ઉતારો આપવામાં આવી શકે છે. હયાત રિજન્સીથી ગાંધી આશ્રમ નજીક છે અને ટ્રમ્પ વસ્ત્રાપુર હયાતમાંથી નીકળે તે પહેલાં તેમના રસાલાના અધિકારીઓને ગાંધી આશ્રમ પહોંચાડી દેવામાં સરળતા રહે તે હેતુથી હયાતની ઉસ્માનપુરા હોટેલને પણ આ ચાર દિવસ માટે બ્લોક કરી દેવાઈ હોવાનું મનાય છે.